રેલનગર પાસે રાધેશ્યામ રેસિડેન્સીમાં રહેતો પવન દિલીપભાઇ મંધાણી (ઉ.26) તા.8ના રોજ તેના પિતરાઇ ભાઇ દીપક મહેશભાઇ (ઉ.25) સાથે બાઇકમાં જતો હતો ત્યારે આણંદમાં અમૂલ ચોકલેટ પ્લાન્ટ પાસે પૂરપાટ અજાણ્યા વાહને ઠોકરે લેતાં બન્ને ભાઇઓને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં બાદમાં પવનને વધુ સારવાર માટે રાજકોટની સિવિલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે તપાસ કરતાં મૃતક યુવક એક બહેનથી નાનો અને પરિવારમાં એકનો એક પુત્ર હોવાનું અને પિતા ફ્રૂટ વેચી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં પવનને નોકરી મળી જાય એ માટે આણંદ રહેતા તેના મામા મહેશલાલ હરૂમલ બાલચંદાણીએ આણંદ પાસે મેલડી માતાના મંદિરે દર્શન કરવા માટેની માનતા રાખી હોય અને પવનને કાપડની દુકાનમાં નોકરી મળી જતા પવન માનતા ઉતારવા ગયો હતો અને ત્યાં તેના મામાના દીકરાની સાથે મંદિરે જતા હતા અને આ બનાવ બન્યો હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.