ઇન્દોરની સોનમ રઘુવંશી 17 દિવસ પછી યુપીના ગાઝીપુરના એક ઢાબા પર અસ્વસ્થ હાલતમાં મળી આવી હતી. તેને વન સ્ટોપ સેન્ટરમાં પોલીસ દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. સોનમે કાળા રંગની ટી-શર્ટ અને લોઅર્સ પહેર્યાં છે. તેના વાળ વિખરાયેલા છે. એવું લાગે છે કે તે ઘણા દિવસોથી સૂઈ નથી.
સોનમ તેના પતિ રાજા રઘુવંશી સાથે હનિમૂન પર મેઘાલય ગઈ હતી. તેના પર આરોપ છે કે તેણે કોન્ટ્રેક્ટ કિલરને ભાડે રાખીને તેના પતિ રાજા રઘુવંશીની હત્યા કરાવી હતી. 2 જૂનના રોજ સર્ચ-ઓપરેશન દરમિયાન ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજાનો મૃતદેહ મળ્યો હતો, જોકે એ સમયે સોનમ મળી ન હતી.
સોનમની શોધમાં પોલીસ સર્ચ-ઓપરેશન ચલાવી રહી હતી. આજે 9 જૂનના રોજ તે મેઘાલયથી લગભગ 1100 કિમી દૂર ગાઝીપુરમાં મળી હતી, જોકે તે અહીં કેવી રીતે પહોંચી એ હજુ સુધી સ્પષ્ટ નથી.
ભાસ્કરે સૌપ્રથમ સોનમ જ્યાં મળી હતી એ ઢાબાના માલિક સાહિલ યાદવ સાથે વાત કરી. તેમણે જણાવ્યું- સોનમ રાત્રે 1 વાગ્યે ઢાબા પર પહોંચી અને રડવા લાગી. તેણે કહ્યું, ભાઈ, મને મારા પરિવાર સાથે વાત કરવા દો. મેં તેને મારા ફોન પર વાત કરાવી અને પછી પોલીસને ફોન કર્યો.