યાત્રાધામ અંબાજી શક્તિપીઠ ગબ્બર એકાવન શક્તિપીઠ પરિક્રમાનો આજથી શુભ પ્રારંભ થશે. એક જ સ્થળે વિશ્વભરમાં પથરાયેલા એકાવન શક્તિપીઠોની પરિક્રમા કરી સેંકડો શક્તિ ઉપાસકો પાવન બનશે. પાંચ દિવસીય શક્તિ ઓચ્છવમાં અંબાજી આવતા શ્રધ્ધાળુઓ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ સહિત અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યુ છે. તો વળી ભકતોની જાનમાલની સુરક્ષા કાજે જિલ્લા પોલીસવડા દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
સેંકડો શક્તિ ઉપાસકોની આસ્થાના પ્રતિક સમા શક્તિપીઠ ગબ્બર અને એકાવન શક્તિપીઠ પરિક્રમામાં આજથી પાંચ દિવસીય શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થશે. એક ઠેકાણે એકાવન શક્તિપીઠોના દર્શનનો લહાવો લેવા સેંકડો શ્રધ્ધાળુઓ અંબાજીમાં ઉમટશે. જ્યાં ભકતો માટે પરિવહન સહિત ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. એકાવન શક્તિપીઠ પર યજ્ઞ, વિશેષ પુજા-અર્ચના સાથે પરિક્રમા માર્ગ પર ઠેર-ઠેર ચા, પીવાનું પાણી, મેડિકલ સહિત નાસ્તાની સુવિદ્યા પણ સેવા ભાવીઓ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે. તો બીજી તરફ મહાઆરતી સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ થકી શ્રધ્ધાળુઓને ભક્તિ રસ પીરસવામાં આવશે. પાંચ દિવસીય કાર્યક્ર્મમાં દૂરદૂરના અંતરેથી આવતા યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ તંત્ર દ્વારા પણ વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.