સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબલિક સ્કૂલની ધોરણ-8ની વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. સ્કૂલ ફી ન ભરી હોવાથી ત્રાસ આપવામાં આવતા વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાના આક્ષેપો થયા હતા. ત્યારબાદ DEO કચેરી દ્વારા કમિટી બનાવીને તપાસ કરવામાં આવી હતી. બે દિવસની તપાસ બાદ રિપોર્ટ DEOને સબમિટ કરી દેવામાં આવ્યો છે. જોકે, આ તપાસમાં સ્કૂલની અન્ય પોલ ખુલી ગઈ છે. બંગલામાં શાળા, ભૂતિયા પ્રિન્સિપાલ સહિતની બેદરકારી સામે આવી છે અને આ બેદરકારીને લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે.
DEO કચેરીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા આદર્શ પબ્લિક સ્કૂલની અન્ય પોલ ખુલી ગઈ હતી. આ સ્કૂલ એક બંગલામાં ચાલતી હોવાની સૌથી પહેલી બેદરકારી સામે આવી હતી. આ સાથે જ સ્કૂલના પ્રિન્સિપાલ પણ ભૂતિયા હોવાનું સામે આવ્યું છે. આદર્શ પબ્લિક સ્કૂલમાં ઇમર્જન્સી સીડી નથી. સ્કૂલ પાસે પોતાનું રમતગમતનું મેદાન પણ નથી. જેના પગલે રમતગમત સહિતના અન્ય કાર્યક્રમો રોડ પર કરે છે. સ્કૂલમાં જ યુનિફોર્મનું વેચાણ કરવામાં આવતું હતું. સ્કૂલમાં ટોયલેટ સહિતની જે પ્રાથમિક સુવિધાઓ હોવી જોઈએ તે નથી. આ તમામ બેદરકારીઓને લઈને DEO દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.