ભુજમાં જ્યાં ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સભા યોજી હતી અને માધાપરની વિરાંગનાઓએ તેમને સિંદૂરનો રોપો આપ્યો હતો, ત્યાં નજીકમાં જ સિંદૂર વનનું નિર્માણ કરવામાં આવશે.સમગ્ર આયોજન મુદ્દે જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂર દરમ્યાન સેનાએ, સમાજ અને સરકાર દ્વારા એકમેકનો ભાવ અને જવાબદારી બખૂબી નિભાવી છે. કચ્છ સરહદી જિલ્લો છે અને ઓપરેશન સિંદૂરમાં કચ્છે મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી છે. આવનારા દિવસોમાં ઓપરેશન સિંદૂરનો ગૌરાન્વિત ઇતિહાસ જાણી શકે તે માટે કાયમી યાદ માટે સિંદૂર વનનું નિર્માણ બનાવવામાં આવશે. રાજ્યસરકારના માર્ગદર્શનમાં નિર્માણ કાર્ય કરવામાં આવશે.
કચ્છ વર્તુળનાં મુખ્ય વન સંરક્ષક ડો સંદીપ કુમારે જણાવ્યું કે, ઓપરેશન સિંદૂરની થીમ પર 8 હેકટર વિસ્તારમાં મિયાવાકી વન પ્રકારનું બનાવશે. પ્રતિ હેકટર 10 હજાર વૃક્ષ ઉછેરવા આવશે. 35 પ્રજાતિઓના વિવિધ વૃક્ષો પણ અહીં લહેરાતા જોવા મળશે. આ વન માત્ર ગુજરાતમાં ભુજમાં માઈક્રો ક્લાઈમેટ કે ઈકોસિસ્ટમ નહિ હોય, પરંતુ વન્યજીવ અને વનસંપદા સાથે ઓપરેશન સિંદૂરને સમજવાનો મોકો આપશે.
સિંદૂર વનમાં એરફોર્સ, નેવી અને આર્મીના પરાક્રમને સંકલિત કરી આ વનનું નિર્માણ કરાશે. આ માઈક્રો ફોરેસ્ટમાં ખાસ કરીને સિંદૂરના છોડ મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આ વનમાં S-400, આઈએનએસ વિક્રાંત, રાફેલ સહિતની પ્રતિકૃતિ જોવા મળશે. નેવી, એરફોર્સ, બીએસએફ સહિતના વિવિધ સેક્શન બનાવવામાં આવશે. પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર પ્રવાસીઓની યાદમાં પણ અલાયદો વિભાગ બનાવવામાં આવશે. આ માત્ર ભુજના ફેફસા માટે મહત્વપૂર્ણ જંગલ નહિ હોય પરંતુ સંશોધકો માટે જોવા અને જાણવા માટે અનોખું વન બનશે.