પહલગામમાં થયેલા આતંકી હુમલાનો જવાબ આપવા ભારત સરકારે ઓપરેશન સિંદૂર હાથ ધર્યાના દિવસે જ રાજકોટ મનપાની જીઆઇએસ વેબસાઇટ પર સાયબર એટેક થયાની હકીકત પ્રકાશમાં આવી છે. આ સાયબર એટેકમાં મહાનગરપાલિકાની શાળાઓ, તમામ બ્રિજ, કચેરીઓ, હોસ્પિટલો, ઉદ્યોગ ગૃહો, શૌચાલયો સહિતની લાખો મિલકતોનો ડેટા લીક થયાની આશંકા સેવાઇ રહી છે.
આ અંગેની જાણ થયા બાદ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ ગુપચુપ રીતે બીએસએનએલની સાયબર સિક્યોરિટીની ટીમને જાણ કરી તાકીદે જીઆઇએસ વેબસાઇટને આઇસોલેટ કરી ડેટા લીક થયો છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે. બીજીબાજુ જીઆઇએસનો ડેટા બેથી ત્રણ દિવસમાં હવે રિમોટ થઇ જશે તેવો આશાવાદ અધિકારીઓએ વ્યક્ત કર્યો છે.
મનપાના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું હતું કે, ઓપરેશન સિંદૂરના દિવસે મહાનગરપાલિકાના જીઆઇએસ વેબસાઇટના સર્વરમાં શંકાસ્પદ જોડાણ થયાનું ધ્યાનમાં આવ્યું હતું. જીઆઈએસનું સર્વર ધીમું પડતાં તાત્કાલિક ધોરણે બીએસએનએલની ટીમને બોલાવીને આ સર્વર આઇસોલેટ કરી નાખવામાં આવ્યું હતું.
ત્યારથી અત્યાર સુધીમાં એટલે કે લગભગ એક મહિનાથી જીઆઇએસ સર્વર લોકો માટે બંધ હાલતમાં છે. તેમાંથી કોઇ ડેટા લીક થયો છે કે કેમ તે અંગે બીએસએનએલની સાયબર સિક્યોરિટીની ટીમ સહિત 3 અલગ-અલગ ટીમ તપાસ કરી રહી છે અને હાલમાં આ એજન્સીઓની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ડેટા લીક થયો છે કે કેમ તે કહી શકાય તેમ નથી. જોકે હજુ સુધી કોઇ નાણાકીય માગણી થઇ નથી. બીએસએનએલ દ્વારા આ તપાસ પીડબલ્યુસીએ (મુંબઇ), એમનેક્સ (અમદાવાદ) અને એડીએસએલ (મુંબઇ) મારફત કરાવવામાં આવી રહી છે.