રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. અગાઉ લોક સાહિત્યકાર હકાભા ગઢવીને કડવો અનુભવ થયા બાદ, હવે જાણીતા સિંગર અને લોક સાહિત્યકાર મીરાબેન આહિરને પણ સિવિલ હોસ્પિટલના અણઘડ વહીવટ અને બેદરકાર સ્ટાફનો ભોગ બનવું પડ્યું છે. મીરાબેને સિવિલ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો છે. જેમાં સ્ટાફ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. જેને લઈને આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
મીરાબેન આહિરે વીડિયોમાં જણાવ્યું કે, તેઓ તેમના ભાઈને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ઇમરજન્સી વિભાગમાં 45 મિનિટથી વધુ સમય રાહ જોયા છતાં, કોઈ પણ સ્ટાફ દ્વારા તેમના ભાઈનો કેસ લખવામાં આવ્યો નહોતો.
આટલું જ નહીં, મીરાબેને ઇમરજન્સી વિભાગમાં ફરજ પર હાજર ડોક્ટર અને સ્ટાફ પર ગેરવર્તન અને અભદ્ર ભાષાના ઉપયોગનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. મીરાબેનના મતે, સ્ટાફ દ્વારા તેમને "નથી દાખલ કરવો, તારાથી જે થાય એ કરી લે" જેવા અયોગ્ય શબ્દો પણ કહેવામાં આવ્યા હતા. આ ઘટનાથી વ્યથિત થઈને મીરાબેન આહિરે સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા સિવિલ હોસ્પિટલ પાસે આ મામલે સ્પષ્ટતા અને જવાબ માગ્યો છે. તેમણે સિવિલ તંત્રની બેદરકારી અને દર્દીઓ પ્રત્યેના અસંવેદનશીલ વલણ સામે અવાજ ઉઠાવ્યો છે.જક