રાજકોટ જિલ્લાના જસદણ ખાતે પાટીદાર સમાજ દ્વારા એક વિશાળ જનક્રાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર શૈક્ષણિક ભવનથી શરૂ થયેલી આ રેલી મામલતદાર ઓફિસ સુધી પહોંચી હતી. રેલીનો મુખ્ય ઉદ્દેશ 'લવ મેરેજ'ના મામલે કાયદો કડક બનાવવા માટે સરકાર સમક્ષ માંગણી કરવાનો હતો. આ રેલીમાં જસદણ અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અને આગેવાનો જોડાયા હતા, જેમાં પાટીદાર સમાજના યુવા આગેવાનો મનોજ પનારા અને અલ્પેશ કથીરિયાની પણ વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી.
પાટીદાર અગ્રણી મનોજ પનારાએ સરકાર સમક્ષ પોતાની માગણીઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, અત્યારે 'લવ મેરેજ'ના નામે પાટીદાર સમાજની દીકરીઓ ભોગ બની રહી છે. પાટીદાર સમાજ ભોળો હોવાથી તેમને ટાર્ગેટ કરવામાં આવે છે. સમાજમાં આવા તત્વો બેફામ બન્યા છે. જ્યારે અન્ય કેટલાક શક્તિશાળી સમાજની દીકરીઓ સામે લુખ્ખા-લફંગા આંખ ઉંચી કરીને જોતા નથી, કારણ કે તેમને ખબર છે કે ત્યાં 'ટાટિયા ભાંગી જશે'. આ રેલી ગાંધીચિંધ્યા માર્ગે કરવામાં આવી છે, પરંતુ જો જરૂર પડશે તો સમાજ ભગતસિંહના માર્ગે આંદોલન કરતાં પણ અચકાશે નહીં.