ભારતીય રેલવે 1 ઓક્ટોબરથી ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે તત્કાલ ટિકિટની જેમ જનરલ રિઝર્વેશન ટિકિટ બુક કરતી વખતે પણ ઈ-આધાર વેરિફિકેશન ફરજિયાત રહેશે.
રેલવે મંત્રાલયે આ અંગે માહિતી આપતી એક સૂચના જારી કરી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, IRCTC વેબસાઇટ અથવા એપ પર જનરલ રિઝર્વેશન ખુલ્યાના 15 મિનિટની અંદર ટિકિટ બુક કરવા માટે આધાર વેરિફિકેશન જરૂરી રહેશે. આનાથી નકલી ID, એજન્ટો દ્વારા ટિકિટનું કાળાબજાર અને બોટ્સ દ્વારા બુકિંગ પર રોક લાગશે.
જો તમારું IRCTC એકાઉન્ટ પહેલાથી જ આધાર સાથે લિંક થયેલું હોય, તો બુકિંગ સરળ બનશે. રાહ જોવાનું ઓછું થશે, અને ટિકિટ ઝડપથી કન્ફર્મ થશે. રેલવેના કોમ્પ્યુટરાઈઝ્ડ PRS કાઉન્ટર પર જનરલ રિઝર્વેશન ટિકિટ બુક કરાવવાનું જૂનું સમયપત્રક એ જ રહેશે. ઉપરાંત, રેલવેના અધિકૃત ટિકિટિંગ એજન્ટો માટે પહેલા દિવસે ટિકિટ બુકિંગ પર 10 મિનિટનો પ્રતિબંધ પણ કોઈપણ ફેરફાર વિના ચાલુ રહેશે.