શુક્રવારે તાલિબાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ અફઘાન દૂતાવાસમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં 20 પત્રકારો હાજર હતા, પરંતુ એક પણ મહિલા નહોતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુત્તાકીની સાથે આવેલા તાલિબાન અધિકારીઓએ નક્કી કર્યું કે પ્રેસ કોન્ફરન્સમાં કોણ હાજરી આપશે. જોકે ભારતીય અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને સામેલ કરવાનું સૂચન કર્યું હતું, પરંતુ આ વાતને અવગણવામાં આવી હતી.
એ સ્પષ્ટ નથી કે તાલિબાને અગાઉ ભારતને જાણ કરી હતી કે તેઓ મહિલા પત્રકારોને આમંત્રણ નહીં આપે. કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે વાંધો ઉઠાવતા કહ્યું, "આપણી ભૂમિ પર મહિલાઓ સામે ભેદભાવનો એજન્ડા રાખનારા તેઓ કોણ છે?"
અમીર ખાન મુત્તાકીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે બગરામ એરબેઝ કોઈને આપવામાં આવશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે અફઘાનિસ્તાન તેની જમીનનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધ થવા દેશે નહીં.
હકીકતમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને કહ્યું હતું કે તેઓ અફઘાનિસ્તાનમાં યુએસ-નિર્મિત બગરામ એરબેઝ પાછું ઇચ્છે છે, અને આમ કરવામાં નિષ્ફળ જવાથી ગંભીર પરિણામો ભોગવવા પડશે.
મુત્તાકીએ કહ્યું કે અફઘાન લોકો ક્યારેય તેમની ધરતી પર વિદેશી સૈનિકોને સ્વીકારશે નહીં. જો કોઈ દેશ અફઘાનિસ્તાન સાથે સંબંધો બનાવવા માંગે છે, તો તેણે લશ્કરી ગણવેશમાં નહીં, પરંતુ રાજદ્વારી રીતે સંબંધો બનાવવા જોઈએ.