પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા ઊર્જા સંરક્ષણ માટેનાં પગલાંઓ તેમજ સોલારનાં માધ્યમથી વીજળીનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, જેનાં કારણે રૂ. 24.20 લાખ જેટલી બચત થઈ છે. ડિવિઝન દ્વારા રાજકોટની સાથે સાથે ભક્તિનગર, દ્વારકા, જામનગર, વાંકાનેર, સુરેન્દ્રનગર અને લખતર સહિતના મુખ્ય સ્ટેશનો ખાતે વીજળીની બચત થાય તેવા ઉપકરણો લગાવવામાં આવ્યા છે. તેમજ સોલાર પ્લાન્ટ દ્વારા વીજ ઉત્પાદન કરાઈ રહ્યું છે. જેના કારણે ગત એપ્રિલ માસથી ચાલુ વર્ષના સપ્ટેમ્બર સુધીમાં 3 લાખથી વધુ યુનિટ વીજળી ઉત્પન્ન થતા આ લાભ મળ્યો છે.
સોલારથી વીજ ઉત્પાદન કરી રૂ. 24.20 લાખની બચત કરી રાજકોટ ડિવિઝનના જણાવ્યા મુજબ, રેલવે ડિવિઝન પોતાના નેટવર્કમાં વીજળીનો વપરાશ ઘટાડવા ઉપરાંત ઓપરેશનલ કાર્યક્ષમતા વધારવા પર્યાવરણ-અનુકૂળ ટેકનોલોજી અપનાવા માટે સતત પ્રયાસ કરે છે. રાજકોટ રેલવે ડિવિઝને ઊર્જા સંરક્ષણનાં પગલાં દ્વારા વીજળીની બચત કરવાની સાથે સોલારથી વીજ ઉત્પાદન કરી રૂ. 24.20 લાખની બચત કરી છે.
હાલમાં ઊર્જા કાર્યક્ષમતા વધારવાની દિશામાં કુલ 1389 KWP ક્ષમતાના રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ ડિવિઝનના વિવિધ સ્ટેશનો અને સેવા ભવનો પર સ્થાપિત કરવામાં આવ્યા છે. વર્ષ 2025-26 (એપ્રિલથી સપ્ટેમ્બર) દરમિયાન આ પ્લાન્ટ્સ દ્વારા 3,77,432 યુનિટ (KWH) સૌર ઊર્જાનું ઉત્પાદન થયું હતું. જેનાથી અંદાજે રૂ. 24.20 લાખની બચત થઈ છે.
લાઇટિંગ વ્યવસ્થાને સંપૂર્ણ ઊર્જા-કાર્યક્ષમ બનાવવામાં આવી આ ઉપરાંત ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં ટેકનિકલ સુધારાના ભાગરૂપે ડિવિઝનમાં 2,710 ઊર્જા-કાર્યક્ષમ બ્રશલેસ ડાયરેક્ટ કરંટ (BLDC) પંખા લગાવવામાં આવ્યા છે, જે પરંપરાગત પંખાની સરખામણીમાં આશરે 40% ઓછી વીજળીનો ઉપયોગ કરે છે. આ સાથે, સ્ટેશનો, ઓફિસો અને સેવા ભવનોમાં 39,850થી વધુ એલઈડી ફિટિંગ્સ લગાવીને લાઇટિંગ વ્યવસ્થાને સંપૂર્ણ ઊર્જા-કાર્યક્ષમ બનાવવામાં આવી છે. આ પ્રયાસોથી વીજળી વપરાશ અને જાળવણી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.