તાજેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદને કારણે જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાના આમરણ (ચોવીસી) સહિતના વિસ્તારોમાં ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. જેને પગલે સાંસદ પૂનમ માડમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જામનગર સંસદીય મતવિસ્તારના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન બદલ યોગ્ય વળતર આપવાની માંગ કરી છે.
નવરાત્રી દરમિયાન અને ત્યારબાદ પડેલા વરસાદથી ઊભા પાકને પણ મોટું નુકસાન થયું છે. આ કમોસમી વરસાદના કારણે મોટાભાગના ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ ગયો છે. જામનગર સંસદીય મતવિસ્તારમાં મગફળી અને કપાસ મુખ્ય પાક છે, જે સપ્ટેમ્બર 2025 અને ચાલુ માસમાં 25 ઓક્ટોબર 2025 થી આવેલા સતત વરસાદથી પ્રભાવિત થયા છે. પાક નિષ્ફળ જવા ઉપરાંત, પશુઓ માટેનો સૂકો ઘાસચારો પણ પલળીને નાશ પામ્યો છે, જેનાથી ખેડૂતોનું આર્થિક બજેટ ખોરવાઈ ગયું છે. સાંસદ પૂનમ માડમે મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે, કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવીને ખેડૂતો માટે ખાસ આર્થિક રાહત પેકેજ જાહેર કરવામાં આવે.