ઈશુ ખ્રિસ્તનો જન્મ ગમાણમાં થયો હોવાથી ચર્ચમાં ખાસ ગમાણ તૈયાર કરવામાં આવ્યું
પ્રેમ, કરુણા, ત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈશુની જન્મજયંતી નિમિત્તે શહેરના તમામ ચર્ચોમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે અને ખ્રિસ્તી લોકોમાં પણ અનેરો ઉમંગ અને ઉત્સાહ છવાયો છે. આજે 25 ડિસેમ્બરનો દિવસ છે અને આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુ ખ્રિસ્તના જન્મદિવસના અવસર પર ઉજવવામાં આવે છે ત્યારે રાજકોટ સહીત સમગ્ર દેશ અને દુનિયામાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાની સાથે જ નાતાલની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ચર્ચ તેમજ ખ્રિસ્તી સમાજના લોકો પોતાના ઘરમાં તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને ક્રિસમસના અવસરને ધામધૂમથી ઉજવવા માટે આતુર જોવા મળતા હોય છે.
નતાશાએ જણાવ્યું હતું કે, આજે નાતાલની ઉજવણી અમે બધા જ લોકો સાથે મળીને કરી રહ્યા છીએ. 24 તારીખે રાત્રે બધા સાથે મળી ચર્ચની અંદર પ્રાર્થના કરીએ છીએ આ પછી 12 વાગ્યે ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મના વધામણાં કરીએ છીએ. આજે કેક અને કોફી સાથે એન્જોય કરીશું બધા જ લોકો આખી રાત સાથે મળીને ઉજવણી કરીશું. આવનાર વર્ષમાં મારી અને બધાની ઈચ્છાઓ પૂર્ણ થાય તે માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ક્રિસમસ જોયફુલ સેલિબ્રેશન છે આપણે ખુશ રહેવાનું અને બીજાને પણ ખુશ રાખવાના, એક બીજાને પ્રેમ આપવો એ છે સાચું ક્રિસમસ.