તા.10 જાન્યુઆરીથી રાજકોટમાં યોજાનારા ગુજરાત વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને પ્રવાસન વિભાગ દ્વારા રેસકોર્સ મેદાનમાં અમદાવાદના કાંકરિયાની જેમ ભવ્ય આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનું આયોજન કરવા તૈયારીઓ શરૂ કરી છે. સામાન્ય રીતે રાજ્યના પ્રવાસન વિભાગ દર વર્ષે મહાનગરપાલિકાને સાથે રાખી ધર્મેન્દ્ર સિંહજી કોલેજના મેદાનમાં આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવ યોજતું હોય છે પરંતુ આ વખતે વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષી પ્રવાસન વિભાગ એકલું આંતરરાષ્ટ્રિય પતંગ મહોત્સવનું આયોજન કરે એવી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ માટે પ્રવાસન વિભાગે રાજકોટ મહાનગરપાલિકાને પત્ર લખીને રેસકોર્સ મેદાનમાં જગ્યા ફાળવણી માટે માગણી પણ કરી છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના કાંકરિયા ખાતે યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ જેવો જાજરમાન કાઇટ ફેસ્ટિવલ રાજકોટમાં યોજવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં દેશ વિદેશના મહાનુભાવો અને પતંગબાજો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
રાજકોટ શહેરના પશ્ચિમ અને દક્ષિણ વિધાનસભાના ધારાસભ્યની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોએ આજે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચી વિસ્તરમાં લાગુ થયેલા અશાંતધારા અંગે મુદત વધારવા તેમજ કેટલાક નવા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માટે રજુઆત કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજ રોજ સાંજના સમયે ધારાસભ્ય રમેશ ટીલાળા અને ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ તેમના વિસ્તારના લોકોને સાથે રાખી કલેકટર ઓમ પ્રકાશને રૂબરૂ રજુઆત કરવા પહોંચ્યા હતા.
300થી વધુ લોકોને સાથે રાખી રજુઆત કરવામાં આવી હતી આ સમયે અશાંતધારાની મુદતમાં વધારો કરવા, કેટલાક નવા વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરવા અને જ્યાં લાગુ ત્યાં કડક અમલવારી કરાવવા સહિતના પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બન્ને ધારાસભ્યો દ્વારા લગભગ છેલ્લા એકાદ વર્ષથી આ મામલે તંત્રને ધ્યાન દોરવામાં આવ્યું હતું અને સંકલન બેઠકમાં પણ પ્રશ્ન ઉઠાવી ચર્ચા કરવામાં આવી હતી જોકે, આજરોજ ધારાસભ્યો દ્વારા વિસ્તારના 300થી વધુ લોકોને સાથે રાખી રજુઆત કરવામાં આવી હતી.