અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ લોકોના મોત થયા બાદ હવે ચેરમેન કાર્તિક પટેલની ધરપકડ થઈ છે અને કાર્તિક પટેલની સાથે તે એકલો નહીં તેની જોડી પણ એટલી જ સામેલ હતી. જેમાં ચિરાગ રાજપુત અને રાહુલ જૈન સૌથી મોટા મોહરા હતા. જેને પગલે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની તેના સાગરીતો સાથે પુછપરછ કરવાનું નક્કી કરી લીધું છે. ત્રણેય ત્રિપુટીઓને એકસાથે બેસાડી પુછપરછ હાથ ધરવામાં આવશે. જેમાં કઈ રીતે ભેગા મળીને ખ્યાતિનો ખેલ પડ્યો, ક્યારે અને કઈ રીતે PMJAY કૌભાંડ શરૂ કર્યું તેના રાજ ખુલશે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી પ્રમાણે, હવે કાર્તિક પટેલ આખા કૌભાંડનો માસ્ટર માઈન્ડ હોવાની કડી મળી રહી છે અને તેમાં પણ ખાસ કરીને જ્યારથી ચિરાગ રાજપૂતે તેને હોસ્પિટલના બિઝનેસમાં કઈ રીતે રોકડી થઈ શકે અને કઈ રીતે બીજા બિઝનેસ સેટલ થઈ શકે તે લોલીપોપ આપી ત્યારથી દરેક બાબતે ચિરાગ, કાર્તિક પટેલ અને રાહુલ જૈન દરેક બાબતથી માહિતગાર હતા.
હવે ચિરાગ રાજપુત અને રાહુલ જૈનના નિવેદનો અગાઉ ધરપકડ સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નોંધ્યા હતા, પરંતુ હવે નાટ્યાત્મક વળાંક આ સમગ્ર તપાસમાં આવવાનો છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલની સામે ચિરાગ રાજપુત અને રાહુલ જૈનને બેસાડીને પૂછપરછ કરવામાં આવશે અને તે માટેની તૈયારી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી લીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આગામી સમયમાં ટ્રાન્સફર વોરંટથી બંને આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લાવવામાં આવશે અને કાર્તિક પટેલ સાથે બંનેના નિવેદન લઈ કઈ રીતે આખું કૌભાંડ થયું હતું તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ટૂંક સમયમાં જ આરોપીઓની ટ્રાન્સફર વોરંટ કસ્ટડી મેળવવાની છે.