ગુજરાતમાં 2024માં સપ્ટેમ્બર મહિના સુધી 2.80 લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે. રાજ્ય સરકારે જાહેર કરેલા રિપોર્ટ ‘સામાજિક-આર્થિક સમીક્ષા 2024-25’ મુજબ, 2024ના 9 મહિનામાં રોજગાર વિનિયમ કચેરીમાં નોકરી મેળવવા કુલ 2.92 લાખ લોકોએ નોંધણી કરાવી હતી. તેમાંથી 96% શિક્ષિત હતા.
આ બેરોજગારોમાં 40% એટલે કે 1.10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ડિપ્લોમા, ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે. જ્યારે 34% વિદ્યાર્થીઓ આર્ટ્સ ફિલ્ડના અને 38% વિદ્યાર્થીઓ કોમર્સ કે સાયન્સ ફિલ્ડના હતા. 2023માં કુલ 2.87 લાખ બેરોજગારો નોંધાયા હતા. તે 2024માં 9 મહિનામાં જ વધીને 2.92 લાખ થયા હતા. ધોરણ 10 અને 12 સુધી અભ્યાસ કર્યો હોય તેવા 1.69 લાખ બેરોજગાર એમ્પલોઇમેન્ટ એક્સચેન્જ પર નોંધાયા હતા. એમ્પલોઇમેન્ટ એક્સચેન્જ નોકરી કરવા માગતા લોકોને રોજગારી પૂરી પાડવા પ્લેસમેન્ટની સુવિધા પૂરી પાડે છે.