પાકિસ્તાન માગ કરે છે કે પહેલગામ હુમલાની તપાસમાં ચીન અને રશિયાને પણ સામેલ કરવામાં આવે. પીટીઆઈ અનુસાર, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે રશિયન મીડિયા રિયા નોવોસ્ટીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક આંતરરાષ્ટ્રીય ટીમે તપાસ કરવી જોઈએ કે ભારતના પીએમ મોદી સાચું બોલી રહ્યા છે કે ખોટું.
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ રવિવારે પહેલગામ આતંકવાદી હુમલા કેસમાં જમ્મુમાં કેસ નોંધ્યો છે. આમાં, શોધખોળ દરમિયાન મળેલા પુરાવા અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોને આધાર તરીકે લેવામાં આવ્યા છે.
આ દરમિયાન, ભૂતપૂર્વ આર્મી ચીફ વીકે સિંહે કહ્યું કે, સરકાર પહેલગામ મુદ્દા પર કાર્યવાહી કરી રહી છે. ધીરજ રાખો. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે કોઈપણ ગુપ્તચર તંત્ર સંપૂર્ણ સુરક્ષિત નથી. ઇઝરાયલી એજન્સીઓને પણ હમાસના હુમલાની જાણ નહોતી.
દરમિયાન, સુરક્ષા દળોએ છેલ્લા ત્રણ દિવસમાં કાશ્મીર ખીણમાં 10 આતંકવાદીઓના ઘરો ઉડાવી દીધા છે. છેલ્લા બે દિવસમાં 272 પાકિસ્તાની નાગરિકો ભારત છોડીને ગયા છે. 13 રાજદ્વારી-અધિકારીઓ સહિત 629 ભારતીયો પાકિસ્તાનથી પરત ફર્યા છે.
22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને 26 પ્રવાસીઓની હત્યા કરી હતી. ત્યારથી ખીણમાં સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે.