પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ગુજરાત એલર્ટ મોડ પર આવી ગયું છે. એકબાજુ રાજ્યના 18 જિલ્લામાં મોકડ્રિલ યોજાઈ હતી. જ્યારે બીજી બાજુ સુરક્ષાને ધ્યાને રાખીને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ દિવસ તો ભુજ, કેશોદ, કંડલા, જામનગર એરપોર્ટ પણ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સિવિલિયન ફ્લાઇટ ત્રણ દિવસ એટલે કે 9મી મે સુધી ઓપરેટ નહિ થાય. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હાલ માત્ર કોમર્સિયલ ફ્લાઈટ માટે બંધ કરાયું છે, પરંતુ વર્તમાન સ્થિતિમાં જરૂર પડ્યે એરફોર્સના વિમાન રાજકોટ એરપોર્ટ પર ઉતરાણ કરી શકે તે માટે એરપોર્ટ 24 કલાક ચાલુ રાખવા પણ સૂચના અપાઈ છે. એર ઇન્ડિયાએ X પર પોસ્ટ કર્યું છે કે, ‘એરપોર્ટ અધિકારીઓ દ્વારા આ એરપોર્ટ બંધ કરવાની સૂચનાને પગલે એર ઇન્ડિયા દ્વારા જમ્મુ, શ્રીનગર, લેહ, જોધપુર, અમૃતસર, ભુજ, જામનગર, ચંદીગઢ અને રાજકોટ એરપોર્ટ પર આવતી અને જતી ફ્લાઇટ્સ 10 મેના રોજ 5:29 વાગ્યા સુધી રદ કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન મુસાફરી માટે માન્ય ટિકિટ ધરાવતા ગ્રાહકોને રિ-શેડ્યૂલિંગ ચાર્જ પર એક વખતની છૂટ અથવા રદ કરવા બદલ સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ જણાવાયું છે કે, 7, 8 અને 9 મે દરમિયાન રાજકોટ ખાતેથી ઉપડનારી તમામ સિવિલ ફ્લાઇટ્સ બંધ રહેશે. રાજકોટ ખાતેથી ઉપડનારી સાતમી મેની તમામ ફલાઈટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે રાજકોટ એરપોર્ટ તમામ પ્રકારની મિલિટરી સેવાઓ માટે 24 કલાક ખુલ્લું રહેશે.