અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ રેલવે ડિવિઝનના કુલ 17 સ્ટેશનનો પુનર્વિકાસ થઈ રહ્યો છે. આ 17 સ્ટેશન પૈકી કુલ 6 સ્ટેશનની પુનર્વિકાસની કામગીરી પૂરી થઈ ગઈ છે. રાજકોટ ડિવિઝનના 44.8 કરોડના ખર્ચે બનેલા 6 સ્ટેશન ઓખા, મીઠાપુર, કાનાલુસ, જામવંથલી, હાપા અને મોરબી રેલવે સ્ટેશનને ખુલ્લા મુકાશે. આ તમામ સ્ટેશનોનું લોકાર્પણ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ તમામ 6 રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.1 પર સવારે 09.30 વાગ્યેથી શરૂ થશે.
રેલવે દ્વારા અપગ્રેડ કરાયેલા રેલવે સ્ટેશનોમાં બેઝિક સુવિધાઓ વધારવાનો પ્રયાસ કર્યો છે. પ્લેટફોર્મની હાઈટ વધારી છે, શેડ લગાવ્યા છે. જેથી વધુમાં વધુ યાત્રીઓ ત્યાં બેસી શકે. કેન્ટીન, ટોઇલેટ વગેરે સુધી પેસેન્જર સરળતાથી પહોંચી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નવનિર્મિત રેલવે સ્ટેશનમાં એન્ટ્રી અને એક્ઝિટ અલગ અલગ જગ્યાએ રાખ્યા છે જેથી પેસેન્જરને કોઈ તકલીફ થાય નહીં. ઓખાના સ્ટેશનને દરિયામાં તરતા જહાજ જેવો આકાર આપ્યો છે. મોરબીના સ્ટેશનને હેરિટેજ લૂક આપ્યો છે. રાતના સમયે પણ સ્ટેશન ઝગમગતા રહેશે. જેથી રાત્રે આવનાર પ્રવાસીને પણ કોઈ તકલીફ થશે નહીં.