રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રથમ તબક્કાના વીરતા પુરસ્કારોનું વિતરણ કર્યું. આ પુરસ્કારો ફરજ બજાવતા અસાધારણ બહાદુરી, સમર્પણ અને બલિદાન આપનારાઓના સન્માનમાં એનાયત કર્યા હતા. રાષ્ટ્રપતિએ 6 કીર્તિ ચક્ર એનાયત કર્યા. આમાંથી 4 મરણોત્તર આપવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, 33 શૌર્ય ચક્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા. આમાંથી 7 મરણોત્તર આપવામાં આવ્યા હતા.
કીર્તિ ચક્ર એ ભારતનો બીજો સર્વોચ્ચ શાંતિ સમયનો વીરતા પુરસ્કાર છે. રાષ્ટ્રપતિ ભવનના રિપબ્લિક પેવેલિયનમાં આયોજિત સમારોહમાં પીએમ મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હાજર રહ્યા હતા.
આ દરમિયાન, શીખ લાઇટ ઇન્ફન્ટ્રી 19 રાષ્ટ્રીય રાઇફલ્સના મેજર આશિષ ધોંચક (આર્મી મેડલ) અને સિપાહી પ્રદીપ સિંહને મરણોત્તર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું. સમારંભ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ બે વાર મંચ પરથી નીચે આવ્યા. જ્યારે શહીદ સૈનિકોની માતાઓ અને પત્નીઓ એવોર્ડ લેવા પહોંચી. રાષ્ટ્રપતિએ તેમને ગળે લગાવીને સાંત્વના આપી.
શૌર્ય ચક્ર મેળવનારાઓમાં સ્ક્વોડ્રન લીડર દીપક કુમાર, રાજપૂત રેજિમેન્ટ 44મી બટાલિયન રાષ્ટ્રીય રાઇફલ્સના મેજર વિજય વર્મા, ડેપ્યુટી કમાન્ડન્ટ વિક્રાંત કુમાર, CRPFના જેફરી હેમિંગચુલો, ઇન્સ્પેક્ટર (GD), જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ પોલીસ ઓફિસર અબ્દુલ લતીફ, પેરાશૂટ રેજિમેન્ટના લેફ્ટનન્ટ કર્નલ CVS નિખિલ, આર્મી સર્વિસ કોર્પ્સના મેજર તૃપ્તપ્રીત સિંહનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર રાઇફલ્સની 5મી બટાલિયનના સુબેદાર સંજીવ સિંહ જસરોટિયા, લેફ્ટનન્ટ કમાન્ડર કપિલ યાદવ, 666 આર્મી એવિએશન સ્ક્વોડ્રન કર્નલ પવન સિંહ, વિંગ કમાન્ડર વર્નોન ડેસમંડ કીન, સ્ક્વોડ્રન લીડર દીપક કુમાર, આર્ટિલરી રેજિમેન્ટના સુબેદાર પી. પુબિન સિંઘા, મેજર સાહિલ રંધાવાને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.