રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના સાણથલી ગામના 20 માર્ચ 2023એ જન્મેલા સાહિલ વાઘેલાને જન્મથી જ હૃદયની ગંભીર બીમારી હતી. જોકે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં વિનામૂલ્યે અને સમયસર મળેલી સઘન સારવારને કારણે સાહિલ આજે સંપૂર્ણ સ્વસ્થ છે.
સમયસર નિદાન અને સારવારનો માર્ગ સાહિલના પિતા મહેશભાઈ વાઘેલા એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. સાહિલના જન્મના આઠ દિવસ બાદ, એટલે કે 28 માર્ચ 2023એ જસદણની RBSK ટીમના ડો. કિરણ કુંવારિયા અને ડો. સામર્થ રામાનુજે સાણથલીમાં મહેશભાઈ વાઘેલાના ઘરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સાહિલના સ્વાસ્થ્યનું સ્ક્રીનિંગ કરતા તેને હૃદયમાં કંઈક ખામી હોવાનું જણાયું હતું. જેને લઈ તાત્કાલિક ધોરણે વધુ તપાસ માટે બાળકને DEIC સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યો, જ્યાં હૃદયની ખામીનું નિદાન થયું હતું. ત્યારબાદ નિષ્ણાત સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ ખાતે જવાની સલાહ આપવામાં આવી હતી.
સારવારનો ખર્ચ ઉઠાવવો પરિવાર માટે અશક્ય હતો આ સમાચાર સાંભળીને સાહિલના માતા-પિતા ખૂબ જ દુઃખી થયા હતા, કારણ કે આ સારવારનો ખર્ચ ઉઠાવવો તેમના માટે અશક્ય હતો. ત્યારે RBSK ટીમ અને સિવિલ હોસ્પિટલના ડોકટરોની ટીમે તેમને શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ વિશે વિગતવાર માહિતી આપી. તેમને ખાતરી આપવામાં આવી કે સારવારનો તમામ ખર્ચ સરકાર RBSK કાર્યક્રમ હેઠળ ઉઠાવશે. આ સાંભળીને સાહિલના માતા-પિતાને મોટી રાહત થઈ, અને તેઓ સારવાર માટે સંમત થયા હતા.