રાજકોટ શહેરમાં 20 દિવસમાં કુલ 105 દર્દી કોરોના મહામારીનો શિકાર બન્યા છે અને તેમાંથી 54 દર્દી સાજા થયા છે અને 51 દર્દી હજુપણ સારવાર હેઠળ છે. જેમાંથી બે દર્દી વેન્ટિલેટર પર છે. આજે નોંધાયેલા 10 દર્દીમાંથી એકપણ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી ન હતી અને છતાં કોરોનાનો ભોગ બન્યા હતા.
મનપાના આરોગ્ય વિભાગના સૂત્રોએ આપેલી માહિતી વોર્ડ નં.2માં રૈયા રોડ પર 79 વર્ષના વૃદ્ધ, વોર્ડ નં.6માં ગંગદેવ પાર્કમાં 80 વર્ષના વૃદ્ધ, વોર્ડ નં.2માં સ્માર્ટ બજાર પાસે 35 વર્ષની મહિલા, અંજની સોસાયટીમાં 81 વર્ષના વૃદ્ધ અને છોટુનગરમાં 49 વર્ષના પુરુષ, વોર્ડ નં.3માં રેલવે લોકો કોલોનીમાં 30 વર્ષની યુવતી, વોર્ડ નં.8માં રાજલક્ષ્મી સોસાયટીમાં 69 વર્ષનો વૃદ્ધ, ક્રિષ્ના પાર્ક પાસે 31 વર્ષનો યુવાન અને આદર્શ સોસાયટીમાં 77 વર્ષના વૃદ્ધ તથા વોર્ડ નં.1માં રત્નમ સ્કાય સિટીમાં 36 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે.
મનપાના ચોપડે પાણીજન્ય રોગચાળાની સાથોસાથ આ સપ્તાહે મચ્છરજન્ય રોગચાળાના કેસ પણ નોંધાયા છે. કુલ 1789 કેસ નોંધાયા છે જેમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના 220 કેસ છે. છેલ્લા એક સપ્તાહમાં મેલેરિયાના 1 અને ડેન્ગ્યુનો 1 કેસ નોંધાયો છે. આ ઉપરાંત શરદી-ઉધરસના 719, સામાન્ય તાવના 848, ઝાડા-ઊલટીના 212, ટાઇફોઇડનો 1 અને કમળાના 5 કેસ નોંધાયા છે.