શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ વિવિધ સંપ્રદાયોને ધાર્મિક પ્રદૂષણ ફેલાવનારા ગણાવીને આકરા પ્રહારો કર્યા છે. બ્રહ્માકુમારી, બ્રહ્માકુમાર, ઈસ્કોન, ગાયત્રી પરિવાર અને સ્વામિનારાયણ સંપ્રદાયને સનાતનના વિરોધી ગણાવ્યા છે અને અશાસ્ત્રીય કહી તેમનાથી બચવા આહ્વાન કર્યુ છે.
બ્રહ્માકુમારી અને બ્રહ્માકુમાર કે જેઓ શિવ અને શંકરને અલગ અલગ ગણે છે તેઓએ ખરેખર શિવ શબ્દનો અર્થ જ સમજ્યો નથી. આ સિવાય એક ગાયત્રી શક્તિપીઠ છે જે ગાયત્રી યજ્ઞો કરે છે પણ આ યજ્ઞો વિધિ અનુસાર થતાં નથી, શાસ્ત્ર મુજબ થતાં નથી. આવા અશાસ્ત્રીય અને વિધિહીન યજ્ઞો થઈ રહ્યાં છે એટલે જ તો દેશ પર સંકટ આવી રહ્યાં છે. શંકરાચાર્યે ઈસ્કોનને તો ષડ્યંત્ર ગણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, હરે રામ કીર્તન કરીને જાગૃતિ લાવે છે પણ તે ષડ્યંત્ર છે. ઈસ્ટ ઈન્ડિયા કંપની જે રીતે વેપાર માટે આવી અને કબજો કર્યો તેવું જ આ ષડ્યંત્ર છે.
ધર્મના નામે ઈસ્કોનવાળા જ આ સનાતનના વિરોધીઓ છે. ગુજરાતમાં 100 વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાય છે પહેલા ઠીક હતું પણ હવે તેમાં પણ ગડબડ ચાલી રહી છે હવે તેઓ કહે છે કે, હનુમાનજી સ્વામિનારાયણના દાસ છે. આ જ રીતે સનાતન ધર્મનું નામ લઈને સનાતનને જ તોડવાનું કામ કરી રહ્યાં છે. આ સમગ્ર મામલે શ્રી પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જૂનાગઢ ગિરનાર મંડળના અધ્યક્ષ ઈન્દ્રભારતીબાપુએ જણાવ્યું છે કે, ‘ગિરનારના તમામ સાધુઓ શંકરાચાર્યનું સમર્થન કરીએ છીએ. જે નવીન સંપ્રદાયો આવ્યા છે તે આપણા ધર્મ પર પ્રહારો કરી રહ્યા છે.