કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે. જેમાં સવારે તેમણે સુરતમાં ઈસ્કોન મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. આ દરમિયાન તેમણે પાટીલને ઈશારો કરી આગળ બોલાવ્યા હતા. કાર્યક્રમ બાદ તેઓ સર્કિટ હાઉસ જતાં પણ સાથે જોવા મળ્યા હતા. આ ઘટનાએ રાજકીય પંડિતોનું ધ્યાન ખેંચ્યું છે.
ત્યાર બાદ અમિત શાહે RDC સહિત રાજકોટ જિલ્લાની 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી હતી. તેમણે રાજકોટ જિલ્લા બેંકના પૂર્વ ચેરમેન વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, 'વિઠ્ઠલ રાદડિયા અને વલ્લભભાઈએ જે માર્ગ બતાવ્યો હતો, તે જ રસ્તે જયેશ રાદડિયા આગળ વધી રહ્યા છે.' અમિત શાહ હવે આજે રાત્રે અમદાવાદના સરખેજ વોર્ડમાં નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજીત રાસ-ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.
શાહે જૂના જોગીઓને યાદ કરીને સૂચક મેસેજ આપ્યો રાજકોટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ભાજપના નેતાઓ સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી. જેમાં ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા અને શહેર પ્રમુખો તથા પૂર્વ પ્રમુખો સાથે અડધો કલાક સુધી બેઠક યોજી હતી. અમિત શાહે જીએસટી ઘટાડાનો મુદ્દો લોકો સુધી પહોંચાડવા તમામ નેતાઓને સૂચના આપી હતી. જેમાં જીએસટી ઘટાડાનો ફાયદો સામાન્ય લોકો સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત વધુને વધુ સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવા, ઘરે ઘરે જઇને સ્વદેશી ચીજવસ્તુઓના વપરાશ અંગે જાગૃતતા લાવવા સૂચના પણ આપી હતી. ઉલ્લેખનીય છે કે અમિત શાહે બેઠકમાં જૂના જોગીઓને યાદ કરીને સૂચક સંદેશો આપ્યો હતો અને એક બનીને ભાજપને મજબૂત કરવા સંકેત આપ્યો હતો. જૂના જોગીઓમાં ધનસુખ ભંડેરી, કશ્યપ શુકલ, કમલેશ મિરાણી, અરવિંદ રૈયાણી, ગોવિંદ પટેલ, રક્ષાબેન બોળીયા ઉપસ્થિત રહ્યા હતા.