દિલ્હી 14 વર્ષ પછી બીજા વિસ્ફોટથી હચમચી ઊઠ્યું. સોમવારે સાંજે 6:52 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે એક ચાલતી કારમાં એક વિસ્ફોટ થયો. બે મહિલાઓ સહિત નવ લોકો માર્યા ગયા અને 24 ઘાયલ થયા.
મૃતકોની ઉંમર 21 થી 58 વર્ષની વચ્ચે હતી. બે મૃતદેહોની ઓળખ થઈ ગઈ છે. કેટલાક ગંભીર રીતે દાઝી ગયા હતા તો કેટલાંકનાં મૃતદેહ આખા વિસ્તારમાં વિખરાયેલા હતા. કારના પાછળના ભાગમાં વિસ્ફોટ થયો હતો અને તેનો અવાજ એક કિલોમીટર સુધી સંભળાયો હતો. વિસ્ફોટમાં નજીકની છ કાર, બે ઈ-રિક્ષા અને એક ઓટો-રિક્ષા બળી ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, જે કારમાં વિસ્ફોટ થયો તેમાં ત્રણ લોકો હતા. આ કાર હરિયાણાના ગુરુગ્રામમાં સલમાનના નામે નોંધાયેલી હતી. પોલીસે સલમાનને કસ્ટડીમાં લીધો છે. સલમાને આ કાર પુલવામાના તારિકને વેચી હતી. પોલીસ તેની શોધ કરી રહી છે.
સુરક્ષા એજન્સીઓએ પણ આત્મઘાતી હુમલાના એંગલની તપાસ શરૂ કરી છે. ઘટનાસ્થળે RDX ના કોઈ પુરાવા મળ્યા નથી. દિલ્હી અને મુંબઈ સહિત તમામ મુખ્ય શહેરો અને રાજ્યોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજધાનીમાં છેલ્લો મોટો બોમ્બ વિસ્ફોટ 7 સપ્ટેમ્બર, 2011 ના રોજ થયો હતો, જેમાં 11 લોકો માર્યા ગયા હતા.