દેશ અને દુનિયામાં જાણીતું શહેર એટલે રાજકોટ. સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. રાજનીતિની વાત હોય કે ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસની વાત હોય દરેક ક્ષેત્રમાં રાજકોટનું આગવું મહત્વ સમાયેલું છે. રાજકોટ શહેરનો ચારેય તરફ દરેક ક્ષેત્રમાં સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. 19 નવેમ્બર 1973 એટલે રાજકોટ મહાનગ પાલિકાનો સ્થાપના દિવસ છે. વર્ષ 1973થી ફેબ્રુઆરી 1974 સુધી અને 2000થી 2005 ને બાદ કરતા આજ દિવસ સુધી રાજકોટ મનપામાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહ્યો છે. સ્થાપના સમયે 10 કરોડનું બજેટ આજે વર્ષ 2025-26માં 3118 કરોડ પહોંચ્યું છે બીજી તરફ વિસ્તારની દ્રષ્ટિએ 3 કિલોમીટરનું રાજકોટ આજે 30 કિલોમીટર સુધી ફેલાઈ ગયું છે અને તેમાં પણ છેલ્લા બે દાયકામાં 2 લાખ મિલ્કત વધીને 6 લાખ સુધી પહોંચી ગઈ છે. આ ઉપરાંત રાજકોટની સફર આરોગ્ય કેન્દ્રથી એઇમ્સ સુધી, રેસકોર્સથી ન્યુ રેસકોર્સ સુધી, પ્રદ્યુમન પાર્ક ઝૂથી લાયન સફારી પાર્ક સુધી અને મારુતીથી મર્સીડીઝ સુધી સફર પહોંચી છે. ત્યારે આવો જાણીએ રાજકોટ મનપાના 52માં સ્થાપના દિવસે વિકસિત રાજકોટની જાણી અજાણી વાતો.
19 નવેમ્બર 1973ના દિવસે રાજકોટ મહાનગર પાલિકાની સ્થાપના રાજકોટ મહાનગર પાલિકાના વર્તમાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરએ દિવ્યભાસ્કર સાથ ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, 19 નવેમ્બર 1973ના દિવસે રાજકોટ મહાનગર પાલિકાની સ્થાપના કરવામાં આવી હતી. આજે 19 નવેમ્બરના રોજ રાજકોટ મનપાનો 52મોં સ્થાપના દિવસ છે. આ એ રાજકોટ છે જેને ખુબ જ સંઘર્ષ કર્યો છે. 2000થી 2005ના 5 વર્ષને બાદ કરતા બાકીના તમામ વર્ષોમાં રાજકોટ મહાનગર પાલિકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શાસન કરવામાં આવી રહ્યું છે. અમારી ભારતીય જનતા પાર્ટી માટે આ સતા નહિ પરંતુ સેવાનું માધ્યમ છે. સ્થાપના સમયે મનપાનું બજેટ 10.78 કરોડનું હતું જે આજે 2025-26ના નાણાકીય વર્ષમાં 3118.08 કરોડ પહોંચ્યું છે. આ વિકાસ પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી કરવામાં આવ્યો છે. રાજકોટ મનપાના વિકાસમાં સ્વ. ચીમનભાઈ શુક્લ, સ્વ. અરવિંદભાઈ મણિયાર, સ્વ. વિજયભાઈ રૂપાણી, સ્વ. કેશુભાઈ પટેલ અને વજુભાઇ વાળા સાહેબ જેવા અમારા વડીલો આગેવાનોનો સિંહ ફાળો રહ્યો છે.