TRP ગેમઝોન અગ્નિકાંડમાં મનુષ્યવધની કલમ હટાવવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. રાજકોટ મનપાના સસ્પેન્ડેડ ફાયર ઓફીસર રોહીગ વિગોરાએ મનુષ્યવધની કલમો હટાવવા માટે કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સરકાર તરફે નિયુક્ત વકીલ તુષાર ગોકાણીએ આપેલ ડ્રાફટ ચાર્જ સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો હતો. આમ હવે આરોપીઓ સામે હાલમાં રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ તહોમતનામા મુજબ મનુષ્યવધનો કેસ ચાલશે.
રાજકોટના કાલાવડ રોડ નજીકના નાનામવા વિસ્તારમાં આવેલા ટી.આર.પી. ગેમઝોનમાં ગત તા.25/05/2024 ના રોજ આગ ફાટી નિકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહીતના 27 લોકોના મૃત્યુ થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એન.ઓ.સી. લેવામાં આવ્યુ ન હોવા છતા તંત્ર દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીઓની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતુ. જે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ટી.આર.પી. ગેમઝોનના ભાગીદારો, સંચાલકો તેમજ મહાનગર પાલીકાના જવાબદાર અધિકારીઓ સહિત કુલ 15 આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો નોંધી જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને આ કેસમાં ચાર્જશીટ થયા બાદ અદાલતમાં ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. રાજેશ મકવાણા, જયદિપ ચૌધરી, ગૌતમ જોષી, ડે.ચીફ ઓફીસર ભીખા ઠેબા, ધવલ ઠકકર અને નિતીન જૈન દ્વારા કેસમાં ચાર્જફ્રેમ થયા પહેલા કેસમાંથી બિનતહોમત છોડી મુકવા (ડિસ્ચાર્જ) અરજી કરવામાં આવી હતી.
રાજકોટ સેશન્સ અદાલમાં આ અરજી ચાલતા સરકાર તરફે સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીએ દલીલો કરી હતી કે, ડીસ્ચાર્જ અરજી નિર્ણીત કરતા સમયે અદાલત માત્ર મર્યાદિત રીતે પુરાવાનું મુલ્યાંકન કરી શકે, હાલના તબકકે મનુષ્યવધનો ગુન્હો બને છે. આરોપીઓ તરફે સાહેદોની ઉલટ તપાસ કર્યા વિના કે સાહેદ જણાવે તેના વિરૂધ્ધની હકીકત પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી આરોપીઓ તરફે માત્ર દલીલમાં જ જણાવવાથી પ્રોસીકયુશનની પુરાવાની વિશ્વાસનીયતા પડકારી શકાય નહી.