રાજકોટમાં આગામી 10થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ઉર્જા વિભાગ દ્વારા અંદાજે રૂ.4 લાખ કરોડના MoU થવાના છે. જેમાં રીન્યુએબલ એનર્જી એટલે કે સૌર, પવન અને દરિયાઈ ઉર્જા કઈ રીતે ઉત્પન્ન કરી શકાય અને તેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમજ મશીન લર્નિંગનો ઉપયોગ કરી મહારાષ્ટ્રના સ્થાને ગુજરાતને મોખરાના ક્રમે કઈ રીતે લાવી શકાય તે અંગેની રણનીતિ ઘડવામાં આવશે.
વાયબ્રન્ટ સમિટમાં અવિરત વીજ પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા PGVCL ના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યુ હતુ કે, મારવાડી યુનિવર્સિટીમાં વાયબ્રન્ટ સમિટમાં અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે ચીફ એન્જિનિયર, સુપ્રિટેન્ડેન્ટ એન્જિનિયર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને જુનિયર એન્જિનિયર સહિતની 100 વ્યક્તિઓની ટીમ દ્વારા ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. જેઓ 24 કલાક ત્યાં હાજર રહેશે અને કોઈપણ પ્રકારના વીજ વિક્ષેપ વિના વાઇબ્રન્ટ સમિટ પૂર્ણ થાય તેવા પ્રયાસો છે.
તેમણે જણાવ્યું કે ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ દ્વારા ગ્રીન હાઈડ્રોજન, ગ્રીન ઇકોનોમી પોલિસી અને રિન્યુએબલ એનર્જી સહિતના વિષયો પર 12 જેટલા સેમિનાર રાખવામાં આવ્યા છે. જેમાં રીન્યુએબલ એનર્જીથી થતા ફાયદાઓ અને ઝીરો કાર્બન પોલીસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોત્સાહન આપી રહ્યા છે તેને વધુ વેગ મળશે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ભારત અવ્વલ નંબર ઉપર છે. જેમાં ગુજરાત આગળ જ છે પરંતુ તેને વધુ આગળ લઈ જવા માટેની પ્રેરણા મળશે.