રાજકોટમાં રહેતી મહિલાએ બોગસ વસિયતનામું બનાવીને પતિની તમામ મિલકત પોતાના પુત્રના નામે કરી પચાવી પાડી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. મિલકત માલિક મૃતકના સાળા દ્વારા એક વર્ષ પૂર્વે આ અંગે અરજી કરવામાં આવી હતી, જેની તપાસના અંતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં સરદારનગરમાં પૂનમ સોસાયટીમાં રહેતા મનુસખભાઈ માધાભાઈ ખાત્રાણી (ઉ.વ.52)એ નાના મવા સર્કલ પાસે ગોવિંદ રતન બંગલોઝમાં બહેનના મૃત્યુ બાદ બનેવી વિનોદભાઈ સાથે રહેતા મધુબેન ઉર્ફે નિકિતાબેન ઉર્ફે અરુણાબેન વિરુદ્ધ અમદાવાદના વકીલના નોટરી રજિસ્ટ્રાર નંબરથી કિંમતી મિલકતનું બોગસ વસિયતનામું બનાવી અને તેનો નામદાર કોર્ટમાં ખરા તરીકે ઉપયોગ કરતા યુનિવર્સિટી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
2008માં બેનના મૃત્યુ બાદ બનેવી સાથે અન્ય મહિલા રહેતી ફરિયાદી મનસુખભાઈએ જણાવ્યું હતું કે, મે મારા સગા કાકા ગણેશભાઈ હરજીભાઈ ખાત્રાણીની દીકરી મધુબેનને બહેન બનાવી છે તેના લગ્ન 1998માં થયા હતા તેમને સંતાનમાં એક દીકરી છે. તા.13.05.2008ના રોજ મારા બહેન મધુબેનનું બિમારી સબબ અવસાન થઇ ગયું હતું ત્યારબાદ 10 મહિના પછી બનેવી વિનોદભાઈ ગાંડુભાઈ ભંડેરીએ મધુબેન ઉર્ફે નીકીતાબેન ઉર્ફે અરુણાબેન સાથે ઘરમેળે રાજી ખુશીથી રહેવા શરૂ કર્યું હતું તેઓ પોતાના પહેલા લગ્ન જીવન દરમિયાન એક દીકરાને સાથે લાવ્યા હતા.
2022માં બનેવીનું થયું હતું અવસાન બનેવી વિનોદભાઈનું 2022માં અવાસન થયું હતું અને 20.04.2024નાં રોજ તેમનાં ઘરે બંધ કવરમાં નોટીસ આવી હતી જેમાં તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે 15.03.2017ની તારીખનુ એક વસિયતનામુ હતું. તેમાં બનેવી વિનોદભાઈ ભંડેરીનાં સાથે રહેતા મધુબેન ઉર્ફે નિકિતાબેન ઉર્ફે અરુણાબેનનાં દીકરા તિલકનાં નામે વસિવતનામું કરી દીધાનું ધ્યાને આવ્યુ હતુ અને તેમા ફરીયાદી મનસુખભાઇનાં આધારકાર્ડ સહીતના દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને વસિયતનામામાં તેમને સાક્ષી તરીકે રાખવામાં આવ્યા હતા પરંતુ તેઓ સાક્ષી તરીકે તેમા ખરેખર હાજર ન હતા અને આરોપી મધુબેન ઉર્ફે નિકિતાબેન ઉર્ફે અરુણાબેનએ આ વસિયતનામું ખોટું બનાવેલ હોવાનુ શંકા જતા તા.02.05.2024ના રોજ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.