રાજકોટથી મુંબઈ જવા માટે 24મીથી ઈન્ડિગોની સવારની ફ્લાઈટ શરૂ કરવાનો શિડ્યૂલ જાહેર કર્યા બાદ હવે એર ઇન્ડિયાની ફ્લાઈટ પણ 25 એપ્રિલથી સવારની ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. એર ઇન્ડિયાની હાલ જે ફ્લાઈટ મુંબઈ જવા માટે ઉડાન ભરી રહી છે તે 120 યાત્રિકોની બેઠક ક્ષમતાની છે જ્યારે નવી શરૂ થનારી ફ્લાઈટ બોઇંગ હશે જેમાં 150 જેટલા યાત્રિકો અને ક્રૂ મેમ્બરનો સમાવેશ થઇ શકશે.
રાજકોટથી મુંબઈ અત્યાર સુધી માત્ર સાંજના સમયે જ ફ્લાઈટ મળતી હતી પરંતુ હવે 24મીથી સવારના સમયનો પણ સ્લોટ મંજૂર થતા હવે સવારે મુંબઈ જવા યાત્રિકોને બે ફ્લાઈટ મળશે. જોકે એર ઇન્ડિયાએ હજુ વેબસાઈટ કે એપ પર 24મીનો શિડ્યૂલ અપલોડ કર્યો નથી.
રાજકોટથી મોટાભાગે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ મુંબઈ વધુ જતા હોય છે તેથી નવી શરૂ થનારી ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસની વધુ ક્ષમતાવાળું બોઇંગ એરક્રાફ્ટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અગાઉ જ્યારે મુંબઈની સવારની ફ્લાઈટ ચાલતી હતી ત્યારે પણ મોટાભાગે વેપારીઓ અને ઉદ્યોગકારો સવારે મુંબઈ કામ પૂરું કરીને સાંજની ફ્લાઈટમાં પરત આવી જતા હતા, પરંતુ અત્યાર સુધી માત્ર સાંજની જ ફ્લાઈટ હોવાને કારણે સવારની ફ્લાઈટ શરૂ કરવા માંગ ઊઠી હતી. 24મીથી ઈન્ડિગો અને 25મીથી એર ઇન્ડિયાની નવી ફ્લાઈટ શરૂ થતા વધુ યાત્રિકો મુંબઈની હવાઈ સફર કરી શકશે.