Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઉત્પત્તિ એકાદશી વ્રત કારતક મહિનાના વદ પક્ષની અગિયારમી તિથિએ કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 08 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. વ્રતને પુરાણોમાં ખૂબ જ ખાસ જણાવવામાં આવે છે. શાસ્ત્રોમાં આ એકાદશીનું ઉત્પન્ના એકાદશી તેમજ કન્યા એકાદશી તરીકે પણ વર્ણન જોવા મળે છે. વાસ્તવમાં આ તિથિ એ દેવી એકાદશીનો પ્રાગટ્ય દિવસ છે. એટલે કે આ જ તિથિએ દેવી એકાદશીનો જન્મ થયો હોવાની માન્યતા છે. અને એટલે જ કહે છે કે આ તિથિએ વ્રત કરવાથી ભક્તને સવિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. ત્યારે આવો જાણીએ કે કેવી રીતે થયું દેવી એકાદશીનું પ્રાગટ્ય !


ઉત્પત્તિ એકાદશીના દિવસે 2 યોગોનો સંયોગ
શુક્રવારના દિવસે સૌભાગ્ય અને અમૃત નામક શુભ યોગ બની રહ્યા છે. તેમની સાથે શુક્ર, મંગળ અને શનિ પણ પોતાની રાશિમાં રહેશે. તે જ સમયે, ગુરુ અને શુક્ર વચ્ચે દ્રષ્ટિ સંબંધ શુભ રહેશે. આ શુભ સંયોગ દરમિયાન કરવામાં આવેલ શુભ કાર્યનું ફળ વધે છે. કારતક માસની અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ભગવાન કૃષ્ણનું વ્રત કરવું જોઈએ. આ દિવસે, શ્રીકૃષ્ણના મંત્રોના જાપની સાથે, વ્યક્તિએ શાલિગ્રામની પણ પૂજા કરવી જોઈએ અને તુલસી પર જળ અર્પણ કરીને દીવો પ્રગટાવવો જોઈએ.

કારતક મહિનાના વદ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુ દ્વારા એકાદશી તિથિ પ્રગટ થયા હતાં. એટલે આ દિવસે ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવામાં આવે છે. તેને ઉત્પત્તિકા, ઉત્પન્ના, પ્રાકટ્ય અને વૈતરણી એકાદશી પણ કહેવામાં આવે છે. પદ્મ પુરાણ પ્રમાણે શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને આ એકાદશીની ઉત્પત્તિ અને તેના મહત્ત્વ અંગે જણાવ્યું હતું. વ્રતમાં એકાદશીને મુખ્ય અને બધી જ સિદ્ધિઓ આપનાર માનવામાં આવે છે.

એકાદશીની પ્રાગટ્ય કથા!
પદ્મપુરાણમાં ઉત્પન્ના એકાદશીના પ્રાગટ્યની કથા છે. તે અનુસાર સતયુગમાં મુર નામના રાક્ષસે દેવતાઓને પરાજિત કરી સ્વર્ગ પર આધિપત્ય જમાવી દીધું. એટલું જ નહીં, સૌને પરેશાન કરી તેણે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો. મુરના ત્રાસથી મુક્તિ અર્થે દેવતાઓ અને ઋષિમુનિઓ મહાદેવની શરણમાં ગયા. ત્યારે, મહેશ્વરે તેમને શ્રીહરિની શરણમાં જવા કહ્યું. દેવો અને ઋષિઓ શ્રીવિષ્ણુ પાસે પહોંચ્યા. શ્રીહરિ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જે વર્ષો સુધી ચાલ્યું. શ્રીવિષ્ણુએ મુરના સેંકડો સૈનિકોનો વધ કરી દીધો અને પછી તે વિશ્રામ માટે બદ્રિકાશ્રમની એક ગુફામાં જતા રહ્યા. સૈનિકોના વધથી ક્રોધિત થયેલો મુર પણ બદ્રિકાશ્રમ પહોંચ્યો. નિંદ્રાધીન શ્રીવિષ્ણુ પર પ્રહાર કરવા તેણે શસ્ત્ર ઉઠાવ્યું. તે જ સમયે શ્રીહરિના શરીરમાંથી એક દિવ્ય કન્યાનું પ્રાગટ્ય થયું

શ્રીવિષ્ણુના દેહમાંથી પ્રગટેલી તે કન્યા અને અસુર મુર વચ્ચે ભયંકર યુદ્ધ થયું. જેમાં તે કન્યાએ મુરનો વધ કરી દીધો. જ્યારે શ્રીહરિ નિંદ્રામાંથી જાગ્યા ત્યારે કન્યાના કાર્યને જોઈને પ્રસન્ન થઈ ગયા. તેમણે એકાદશીની તિથિએ ઉત્પન્ન થયેલી તે કન્યાને ‘એકાદશી’ના નામે જ સંબોધન કર્યું. સાથે જ તેને તમામ તીર્થોમાં સૌથી મોખરે રહેવાનું વરદાન પણ આપ્યું. અને કહ્યું કે, “આજથી દરેક એકાદશીએ મારી સાથે તારી પણ પૂજા થશે. જે ભક્ત એકાદશીનું વ્રત રાખશે તે સમગ્ર પાપોથી મુક્ત થઈ જશે.”