જસદણના ગઢડિયા વિસ્તારમાં દીપડાએ હાજરી પુરાવી વાડીમાં વાછરડીનું મારણ કર્યું હતુ. જો કે ભાંભરડાનો અવાજ આવતાં વાડી માલિક જાગી જતાં દીપડો નાસી છૂટ્યો હતો અને વન વિભાગને જાણ કરાતાં એ જગ્યાએ પાંજરું મૂકવામાં આવ્યું હતું,
જસદણના ગઢડીયા વિસ્તારમાં દીપડો આંટાફેરા મારી રહ્યો હોવાની વાત ફેલાઇ જતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ ગઇ છે. રાતે એકલદોકલ જવાની કોઇ હિંમત કરતું નથી અને પાણી વાળવા માટે જતા ખેડૂતો ભયથી થથરી રહ્યા છે ત્યારે વન વિભાગે ત્યાં લોકલાગણીને પારખી પાંજરું તો ગોઠવી દીધું પરંતુ દીપડાને જાણે સગડ મળી ગયા હોય તેમ નજીકમાં પણ ફરક્યો ન હતો. વન વિભાગની ટીમ આખી રાત ચોકી કરતી રહી પરંતુ દીપડો આવ્યો ન હતો. લોકોના મતાનુસાર બે દીવસથી દીપડો આ વિસ્તારમાં ફરી રહ્યો છે, વન વિભાગ પણ તેના વોચ રાખી રહ્યું છે પરંતુ તે હાથમાં આવતો ન હોઇ, વન તંત્રે માલધારીઓને પશુઓ સાચવીને રાખવા અપીલ કરી છે. દીપડાની હાજરી જણાતાં વન વિભાગ સાબદો બની ગયો છે અને પાંજરું ગોઠવી દેવાયું છે.