રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉચ્ચ વ્યાજદરોને કારણે આર્થિક વૃદ્ધિદરને અસર થઇ રહી નથી અને મોનેટરી પોલિસીમાં મુખ્યત્વે ફુગાવાને નીચે લાવવા પર વિશેષ રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
બોમ્બે ચેમ્બર ઑફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીની એક ઇવેન્ટને સંબોધતા દાસે જણાવ્યું હતું કે ભારત તેના ગ્રોથના રસ્તામાં એક મહત્વપૂર્ણ માળખાકીય પરિવર્તન તરફ છે અને એવા રસ્તા પર છે જ્યાં વાર્ષિક સ્તરે 8%ના રિયલ જીડીપી ગ્રોથને ટકાવી શકાય છે. ગ્રોથ ટકાઉ અને મજબૂત હોય તો સ્પષ્ટ સંકેત છે કે મોનેટરી પોલિસી અને વ્યાજદરો ગ્રોથને આડે અવરોધરૂપ નથી.
RBIની ટીમ જૂન ક્વાર્ટર માટે 7.4%ના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ધરાવે છે, જે આરબીઆઇના પોતાના જ 7.3%ના અંદાજ કરતાં વધુ છે અને ઉમેર્યું હતું કે નાણાકીય વર્ષ 2025માં અર્થતંત્ર 7.2%ના દરે વૃદ્ધિ પામશે તેને લઇને આશાવાદ યથાવત્ છે. સારો ગ્રોથ આઉટલુક આપણને ફુગાવા પર અસ્પષ્ટપણે પણ ફોકસ કરવા માટેની જગ્યા આપે છે.