રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિક વ્યવસ્થા વિકટ બની રહી છે, જીવલેણ અકસ્માતનું પ્રમાણ પણ વધી રહ્યું છે, ટ્રાફિક સમસ્યા હળવી કરવાના હેતુથી ટ્રાફિક વોર્ડનની ભરતી શરૂ કરી હતી, પરંતુ ટ્રાફિક વોર્ડનનો ટ્રાફિક નિયમનને બદલે ઉઘરાણામાં જ ઉપયોગ થતો હોવાનો લોકોમાં રોષ ઊઠી રહ્યો છે.
રાજકોટ શહેરમાં કોટેચા ચોક, કેકેવી ચોક, રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલ, ઇન્દિરા સર્કલ, નાણાવટી ચોક, માધાપર ચોકડી, બેડી ચોકડી સહિતના સ્થળોએ બપોરે અને સાંજના સમયે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઇ જાય છે. લાંબો સમય સુધી વાહનચાલકો તેમાં ફસાય છે. આ પોઇન્ટ પર એકાદ ટ્રાફિક પોલીસ કર્મચારી અને એકલ દોકલ ટ્રાફિક વોર્ડન જોવા મળે છે અને આ લોકો પણ ટ્રાફિક નિયમન કરાવવાને બદલે કોની પાસેથી દંડ વસૂલી શકાય તેમ છે તેવા વાહનચાલક પર જ જાણે નજર રાખીને બેઠા હોય છે અને આવા કારણોસર શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક સમસ્યા રહે છે.