અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ પર વટવા નજીક રોપડા રેલવે ઓવરબ્રિજ નજીક 23 માર્ચ(રવિવાર)ના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન 600 ટનની વિશાળકાય ક્રેન તૂટી હતી. અમદાવાદ-મુંબઈ ડાઉન લાઈન પર ક્રેન પડી હતી જેના કારણે ટ્રેક અને રેલવેના ઓવરહેડ વાયરને નુકસાન થયું હતું. ક્રેન દુર્ઘટનાને પગલે નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા ક્રેનને ઉતારવાની અને રીપેરીંગની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી હતી. રેલવે અને નેશનલ હાઈ સ્પીડ રેલવે ઓથોરિટી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
નેશનલ હાઇ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ દ્વારા 24 કલાકમાં ધરાશાયી થયેલી વિશાળ ક્રેનને નીચે ઉતારી લેવામાં આવી છે. 750 ટનની એક ટ્રેન અને 500 ટનની બે તેમજ 130 ટનની એક ટ્રેનની મદદથી આ ક્રેનને ઉતારી લેવામાં આવી છે. ક્રેનને ઉતારી લેવાની કામગીરી પૂરી થઈ ચૂકી છે ત્યારે હવે રેલ્વે લાઈનને ફરીથી પૂર્વવત કરવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને રેલ્વે ટ્રેકનો સમગ્ર વિસ્તાર ખાલી કરી દેવામાં આવ્યો છે. નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ અને પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના 300 માણસોની મદદથી 24 કલાકમાં ક્રેનને ઉતારી લેવામાં આવી છે.