2 માર્ચ 2016ના રોજ હું જીનિવામાં FIA મિટિંગ માટે લંડન જઈ રહ્યો હતો. મેં અરુણ જેટલીને કહ્યું હતું કે હું જઈ રહ્યો છું અને સમાધાન વિશે વાત કરીશ. પાસપોર્ટ રદ થવાને કારણે હું લંડનમાં ફસાઈ ગયો. હું ભાગેડુ નથી, આ કોઈ ભાગી જવાની યોજના નહોતી. મને ચોર કહેવું ખોટું છે. આવું ઉદ્યોગપતિ વિજય માલ્યાનું કહેવું છે. એક એવું નામ, જે એક સમયે ભારતમાં ગૌરવ અને સફળતાનું પર્યાય હતું. આજે એ 6,200 કરોડ રૂપિયાના બેંક લોન છેતરપિંડી અને મની લોન્ડરિંગના વિવાદોથી ઘેરાયેલા છે.
નવ વર્ષ સુધી મીડિયાથી દૂર રહ્યા બાદ માલ્યાએ તાજેતરમાં યુટ્યૂબર રાજ શમાની દ્વારા હોસ્ટ કરાયેલા પોડકાસ્ટમાં પોતાનું મૌન તોડ્યું. ચાર કલાકની આ વાતચીતમાં તેમણે તેમના જીવન, વ્યવસાય, કિંગફિશર એરલાઇન્સના પતન, કર્મચારીઓના બાકી પગાર અને કાનૂની લડાઇઓ વિશે ખુલ્લેઆમ વાત કરી.
મારો જન્મ કોલકાતામાં થયો હતો, જ્યાં મારા પિતા વિઠ્ઠલ માલ્યા યુબી ગ્રુપના ચેરમેન હતા. મારું બાળપણ કડક શિસ્તમાં વીત્યું. મારા પિતા કહેતા હતા, "જો સખત મહેનત નહીં કરો તો મારા વ્યવસાયમાં તમારું સ્થાન નહીં રહે." સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.કોમ કર્યા પછી હું યુબી ગ્રુપમાં 400 રૂપિયા પ્રતિ માસના પગારે તાલીમાર્થી બન્યો. 18 વર્ષની ઉંમરે મને એક નાની કંપનીનો CEO બનાવવામાં આવ્યો, જ્યાં મેં સખત મહેનત દ્વારા વ્યવસાય શીખ્યો.