રાજકોટ-ભાવનગર હાઈવે અત્યંત ખરાબ હાલતમાં હોય તત્કાલ રિ-સર્ફેસિંગ કરવાની માગણી સાથે તાલુકા પંચાયતના સદસ્ય નિશિતભાઈ બાબુભાઈ ખૂંટ દ્વારા કલેક્ટર પ્રભવ જોશીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, રાજકોટ-ભાવનગર હાઇવે રાજકોટથી આટકોટ સુધી અત્યંત ખરાબ હાલત હોય તથા અવારનવાર અજાણ્યા વાહનો રસ્તા પર આવતા અચાનક ખાડાને કારણે એક્સિડન્ટમાં વધારો થયો છે.
ત્યાં છેલ્લા બે વર્ષથી વારંવાર રજૂઆત કરતા એક જ જવાબ મળે છે કે રાજકોટ-ભાવનગર હાઇવે રિ-સર્ફેસિંગના કામનું ટેન્ડર પ્રક્રિયામાં છે. આવા ઉડાવ જવાબ છેલ્લા બે વર્ષથી સાંભળીએ છીએ. વારંવાર રજૂઆત કરતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી તો આગામી દિવસોમાં એક મહિનામાં રોડનું યોગ્ય નિરાકરણ કરવામાં ન આવે તો રાજકોટથી આટકોટ સુધી પદયાત્રા અને જરૂર પડશે તો રોડ રોકો આંદોલન પણ કરવામાં આવશે. આ રજૂઆતમાં તાલુકા પંચાયતના સદસ્ય નિશિત ખૂંટ ઉપરાંત કસ્તુરબાધામના સરપંચ ભાવેશ પીઠવા, તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈ બોરડ, વલ્લભભાઈ રંગાણી સહિતના આગેવાનો જોડાયા હતા.