2008ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા પહેલા દિવસે (શુક્રવારે) 3 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. એજન્સીએ કહ્યું કે તે સહયોગ કરી રહ્યો નથી. NIA પરિવાર અને મિત્રો વિશે માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
રાણાને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે, જોકે તેને ક્યારે અને કયા વોર્ડમાં રાખવામાં આવશે એ અંગેનો અંતિમ નિર્ણય હજુ સુધી જાણી શકાયો નથી. તપાસ એજન્સી NIA અને ગુપ્તચર એજન્સી RAWની સંયુક્ત ટીમ (9 એપ્રિલ) બુધવારે રાણાને લઈને અમેરિકાથી રવાના થઈ હતી.
64 વર્ષીય તહવ્વુર રાણાને ગઈકાલે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. 10 એપ્રિલના રોજ ગુરુવારે સાંજે લગભગ 6:30 વાગ્યે રાણાને લઈને યુએસ ગલ્ફસ્ટ્રીમ G550 વિમાન દિલ્હીના પાલમ ટેક્નિકલ એરપોર્ટ પર ઊતર્યું, જ્યાં તેનું મેડિકલ ચેકઅપ થયું, ત્યાર બાદ તેને સીધો NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો હતો.
ગઈકાલે રાત્રે રાણાનો પહેલો ફોટો પણ સામે આવ્યો હતો, જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના અધિકારીઓ તેને પકડીને ઊભા જોવા મળ્યા હતા. આજે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે બીજો ફોટો બહાર પાડ્યો છે. આમાં અમેરિકન માર્શલ્સ તેને NIA અધિકારીઓને સોંપી રહ્યા છે.