આણંદ શહેરના વિદ્યાનગરમાં અજીબોગરીબ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વિદ્યાનગર સ્થિત જીઆઈડીસીમાં રહેતા 28 વર્ષીય બેરોજગાર યુવકને ઈન્કમટેક્સ વિભાગે વર્ષ 2021-22 માટે રૂપિયા 135 કરોડની ટેક્સ વસુલાતની નોટિસ ફટકારી છે. ખુદ આ યુવક તેમજ તેના પરિવારજનો નોટિસ મળતા દ્વિધામાં મુકાઈ ગયા છે કે હવે કરવું શું ? આ યુવકના નામે બારોબાર 3 કંપનીઓ શરૂ કરાઇ છે. જેનું કરોડોનું ટર્નઓવર બતાવી જીએસટી રિર્ટન પણ ફાઇલ થયેલા છે. આ સમગ્ર મામલમાં બોગસ બિલિંગ કૌભાંડ આચરાયુ હોવાની શંકા ઉભી થઇ છે.
યુવકના પાન કાર્ડના આધારે જે ત્રણ કંપની ઉભી કરવામાં આવી છે તમામ બોગસ હોવાનું ખૂલ્યું છે. આણંદ ઈન્કમટેક્સ વિભાગે આપેલી નોટિસમાં દર્શાવાયેલા ટ્રાન્ઝેક્શનોમાં કુલ વેચાણ જીએસટીઆર-1 અંતર્ગત રૂપિયા 59.89 કરોડ, કુલ વેચાણ જીએસટીઆર-3બી અંતર્ગત કુલ 59.68 કરોડ, ટીડીએસ રૂપિયા 225 અને અન્ય ઈન્સાઈટ પોર્ટલ પરની કુલ લેવડ-દેવડ રૂપિયા 16.02 કરોડ બતાવીને રૂપિયા 135 કરોડની વસુલાતની નોટિસ ફટકારાઈ છે.