શહેરમાં શાસ્ત્રી મેદાન પાસેના લીમડા ચોક પાસે પૂરપાટ કારે ઠોકરે લેતાં મોટરસાઇકલ સવાર વૃદ્ધનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. મૃતક વૃદ્ધ મજૂરીકામ કરતાં હોય કામે જતા હતા અને બનાવ બન્યો હોવાનું બહાર આવતા એ-ડિવિઝન પોલીસે અકસ્માત બાદ નાસી જનાર કારચાલક સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
જામનગર રોડ નજીક ભોમેશ્વર વાડીમાં રહેતા મીઠાભાઇ શામજીભાઇ ધંધુકિયા (ઉ.65) રવિવારે સવારે તેનું મોટરસાઇકલ લઇને કામે જતા હતા ત્યારે લીમડા ચોક પાસે પૂરપાટ કારે ઠોકરે લેતા ફંગોળાયેલા વૃદ્ધને ગંભીર ઇજા થઇ હતી. બનાવને પગલે લોકોએ જાણ કરતાં 108ની ટીમે પહોંચી વૃદ્ધને મૃત જાહેર કર્યા હતા.