રાજકોટ-અમદાવાદ હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગઈકાલે સાંજે રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલીયાસણ ગામ નજીક ઓવરબ્રિજ પર માતાજીના દર્શને જતા પરિવારની કારને ડમ્પરે અડફેટે લેતા એક મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે નાની બાળકી સહિત ચાર લોકોને ઈજા પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટના કોઠારીયા રોડ પર રહેતા બે પરિવારના સભ્યો કાળાસર હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલાનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. મૃતક મહિલાનું નામ શીતલબેન જયેશભાઈ ભોજક (ઉં.વ.42) છે અને તેને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું સામે આવ્યું છે.
'અમે ગાડી લઇને હિંગળાજ માતાના મંદિરે જતા હતા' ઈજાગ્રસ્ત યશ હરેશભાઈ ભોજક (ઉ.વ.23)એ અજાણ્યા ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, હું મારા પરિવાર સાથે રહું છું અને રાજકોટ શહેર ખાતે આવેલા એસ.કે.પી. સ્કૂલની ગાડી ચલાવું છું. મારા પરિવારમાં મારા પિતા હરેશભાઈ તથા મારા માતા મીનાબેન છે. અમે બે ભાઈઓ તથા એક બહેન છીએ. જેમાં સૌથી મોટી બહેન જાનવીબેન જે નવાગામ (આણંદપર) રાજકોટ ખાતે સાસરે છે. તેનાથી નાનો ભાઈ પાર્થભાઈ જેના લગ્ન થઈ ગયા છે તથા સૌથી નાનો હું છું. ગઈકાલે તા. 20/07/2025નાં રોજ બપોરના 3 વાગ્યાની આસપાસ હું તથા મારા માતા મીનાબેન તથા મારા કૌટુંબિક ભાઈ જયેશભાઈ તથા જયેશભાઈના પત્ની શિતલબેન તથા જયેશભાઈની દીકરી તન્વી તથા તેમનો દીકરો ધર્મ બધા જયેશભાઈની વેગેનાર ફોરવ્હીલ ગાડી GJ-01-RB-9287 લઈને રાજકોટથી કાળાસર ગામ ખાતે આવેલા હિંગળાજ માતાના મંદિરે જતા હતા.