ગુજરાતની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ક્વાર્ટર (Q1 FY26)ના નાણાકીય પરિણામો સોમવારે જાહેર કરી દીધા છે. જેમાં ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની આવક વાર્ષિક ધોરણે 11 ટકા વધીને 3178 કરોડ રૂપિયાએ પહોંચી ગઈ છે.
જૂન ક્વાર્ટરમાં કંપનીની Op. EBITDA આવક વાર્ષિક ધોરણે 14 ટકા વધીને 1032 કરોડ રૂપિયા રહી છે. જ્યારે આ સમયગાળા દરમિયાન કંપનીનું ગ્રોસ માર્જિન 76%, Op. EBITDA માર્જિન 32.5% રહ્યું છે. ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના ચોખ્ખા નફાની વાત કરીએ તો કંપનીનો ટેક્સ બાદ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 20 ટકા વધ્યો છે, જે 548 કરોડ રૂપિયા છે.
કંપનીના ઉત્તમ પરિણામોનું મુખ્ય કારણ ભારત અને બ્રાઝીલમાં તેના બ્રાન્ડેડ જેનરિક્સ પોર્ટફોલિયોનું મજબૂત પ્રદર્શન છે, જે કુલ આવકનો અડધાથી વધુ હિસ્સો ધરાવે છે. ટોરેન્ટ ફાર્માએ કાર્ડિયોવેસ્ક્યુલર (CV), સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ (CNS) અને ગેસ્ટ્રો ઈન્ટેસ્ટીનલ (GI) જેવા મુખ્ય ક્રોનિક થેરાપી ક્ષેત્રોમાં પોતાની નેતૃત્વની સ્થિતિ જાળવી રાખી છે. કંપની કન્ઝ્યુમર હેલ્થ સેક્ટરમાં પણ શેલકેલ અને અહાગ્લો જેવી બ્રાન્ડ્સ દ્વારા વિસ્તરણ કરી રહી છે.