વડોદરા શહેરના વાડી શાસ્ત્રીબાગ પાસે આવેલી સોનાની લગડી જેવી 3,800 ચો. મી. જમીનમાં સરકારે સુઓમોટો દાખલ કરી શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટનું નામ દાખલ કરવા હુકમ કર્યો હતો. જે હુકમના આધારે આજે પૂર્વ મામલતદારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીનનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, આ જમીનમાં લઘુમતી પરિવારના 7 સભ્યોએ પોતાની જમીન હોવાનું અનુમાન લગાવી સિટી સર્વેમાં નામો દાખલ કરાવી દીધા હતા.
આયશાબીબીના 7 વારસદારોએ જમીનમાં નામ દાખલ કાર્યા હતા આ જમીન અંગેની સમગ્ર વિગત એવી છે કે, વાડી શાસ્ત્રીબાગ પાસે સર્વે નં. 1424/2 અને 1424/1 વાળી સોનાની લગડી જેવી 3,800 ચો. મી. જમીન આવેલી છે. કરોડો રૂપિયાની કિંમતની આ જમીન વર્ષો પૂર્વે શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટના નામે હતી. સમયાંતરે આ જમીનમાં આયશાબીબીના 7 વારસદારોએ આ જમીન સર્વે નંબર 68 વાળી છે અને પોતાની માલિકીનું હોવાનું અનુમાન લગાવી સિટી સર્વેમાં નામો દાખલ કરાવી દીધા હતા અને આ જમીનનો કબજો લીધો હતો.
આ જમીન શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટની હોવાની જાણ ભાજપના પૂર્વ કાઉન્સિલર વિજય પરવારને થતા તેઓએ વિગતો મેળવી હતી અને આ અંગેની જાણ વિધાનસભાના દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લાને કરી હતી. ત્યાર બાદ ધારાસભ્યએ જમીનની હકીકતથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને વાકેફ કર્યા હતા.