જૂનાગઢ શહેરના મયારામ આશ્રમમાં ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાયો છે. વર્ષોથી શાંતિ અને સેવાનું પ્રતિક ગણાતા આ આશ્રમમાં હવે ટ્રસ્ટીપદને લઈને વિવાદ થઈ રહ્યો છે. આશ્રમના આચાર્ય ટ્રસ્ટી તુલસીદાસ બાપુએ ગંભીર આક્ષેપ કરીને જણાવ્યું હતું કે, અમે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને ઓળખતા પણ નથી છતાં અન્ય ટ્રસ્ટીઓએ તેમને ગેરકાયદેસર રીતે ટ્રસ્ટી તરીકે નિમ્યા છે. જ્યારે આ મામલે ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે, નિયમો અનુસાર જ ટ્રસ્ટી બન્યો છું.
ઉલ્લેખનીય છે કે, તુલસીદાસ બાપુએ આક્ષેપ કરતા સ્પષ્ટ કર્યું હતું કે, તેમની સહમતી વિના નવાં ટ્રસ્ટીઓ ઉમેરવામાં આવ્યા છે અને અંદરખાને ચૂપચાપ ગિરીશ કોટેચાનું નામ ટ્રસ્ટી તરીકે દાખલ કરવામાં આવ્યું છે. જોકે, આ અંગે તેઓએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવાનો નિર્ધાર જાહેર કર્યો છે.
'હવે અહીં વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લેવામાં આવી રહ્યા છે' આશ્રમના આચાર્ય ટ્રસ્ટી તુલસીદાસ બાપુના જણાવ્યા અનુસાર, અહીં પહેલાં ગરીબ, અનાથ અને નિરાધાર બાળકોને મફતમાં ભણાવવામાં આવતા અને રહેવા-ખાવાની સંપૂર્ણ વ્યવસ્થા સહૃદયતાથી કરવામાં આવતી હતી. હવે અહીં વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લેવામાં આવી રહ્યા છે. જેથી અહીં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓમાં ઘટાડો થયો છે. કારણ કે, પહેલાં 80થી વધુ વિદ્યાર્થીઓ અહીં આવતા હતા. હાલ 25 વિદ્યાર્થીઓ આવી રહ્યા છે.