સુપ્રીમ કોર્ટે આજે, 5 ઓગસ્ટ, 2025ના રોજ દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (DHFL)ના પૂર્વ ડિરેક્ટર અને પ્રમોટર ધીરજ વાધવનના જામીન રદ કર્યા હતા. આ નિર્ણય એક મોટા બેંક લોન કૌભાંડના કેસમાં લેવામાં આવ્યો છે, જેમાં ધીરજ વાધવન પર 42,871.42 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. કોર્ટે તેમને બે અઠવાડિયામાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.
ધીરજ વાધવનને 9 સપ્ટેમ્બર 2024ના રોજ દિલ્હી હાઈકોર્ટે નાદુરસ્ત તબિયતને કારણે જામીન આપ્યા હતા. હાઈકોર્ટે કહ્યું હતું કે ધીરજ "બીમાર વ્યક્તિ" ની શ્રેણીમાં આવે છે. સીબીઆઈએ આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.
સીબીઆઈ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ દલીલ કરી હતી કે ધીરજને કોઈ ગંભીર બીમારી નથી અને તેમણે ખાનગી હોસ્પિટલોમાંથી મેડિકલ રિપોર્ટ મેળવીને જામીન મેળવ્યા હતા. સુપ્રીમ કોર્ટના જજ સંજય કુમાર અને સતીશ ચંદ્ર શર્માની બેન્ચે મેડિકલ બોર્ડના રિપોર્ટનો અભ્યાસ કર્યા પછી જામીન રદ કર્યા હતા.