નવરાત્રિના પહેલા નોરતે સમગ્ર રાજ્યમાં ક્લબ, પાર્ટી પ્લોટ, શેરી ગરબા સહિત વિવિધ જગ્યાઓ પર ગરબા રમવા ખેલૈયાઓ પહોંચ્યા હતા. ત્યારે પહેલા નોરતાએ જ દાંડિયા અને ગરબાના શોખીનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. સુરતની સુવર્ણ નવરાત્રિમાં અન્ય ધર્મના ઢોલી નીકળતા બજરંગ દળ લાલઘૂમ થયા હતા. જ્યારે વડોદરાના યુનાઈટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં ખેલૈયાઓને કાદવ અને કીચડમાં ગરબા રમવા પડ્યા હતા. જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ દરમિયાન લોકો દ્વારા રિફંડ રિફંડના નારા લગાવ્યા હતાં. રાજકોટમાં ઢોલ નગારા અને શરણાઈના તાલે સાથે મોહન મોરલી વગાડે જેવા ગીતો પર યુવાધન હિલોળે ચડ્યું હતું. કિંજલ દવેની રોકસ્ટાર જેવી તો ગીતા રબારીની પરીની સ્ટાઈલમાં એન્ટ્રી પર લોકો ફિદા થઈ ગયા હતા. તો ફાલ્ગુની પાઠક આવતાં જ ખેલૈયાઓ ગાંડા થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 22થી 28 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું વધુ જોર રહેશે. પરંતુ પહેલા નોરતે વરસાદ વિઘ્ન ન બનતાં ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.