ફ્રાન્સના પેરિસમાં આવેલા પ્રખ્યાત લૂવર મ્યુઝિયમમાં રવિવારે સવારે 9 વાગ્યે ચોરી થઈ હતી. સંસ્કૃતિ મંત્રી રશીદા દાતીએ જણાવ્યું હતું કે ચોરો ઘરેણાં લઈને ફરાર થઈ ગયા હતા. તેમણે લખ્યું હતું કે, આજે સવારે લૂવર મ્યુઝિયમ ખુલતા જ તેમાં ચોરી થઈ હતી, જે વિશ્વના સૌથી મોટા મ્યુઝિયમોમાંનું એક છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વ્યાવસાયિક ચોરો દિવાલ કૂદીને સંગ્રહાલયમાં પ્રવેશ્યા અને ડિસ્ક કટરથી બારી કાપીને માત્ર 7 મિનિટમાં નેપોલિયન અને મહારાણી જોસેફાઇનના 8 કિંમતી ઝવેરાત ચોરી ગયા.
ચોરાયેલા ઝવેરાતમાં 1855માં બનેલો ઐતિહાસિક યુજેની ક્રાઉનનો સમાવેશ થાય છે અને તેમાં હજારો કિંમતી રત્નો જડેલા હતા. આ મુગટના ભાગો તૂટેલા મળી આવ્યા હતા, એવું માનવામાં આવે છે કે ચોરી દરમિયાન તે તૂટી ગયા હશે.
ચોરી બાદ મ્યુઝિયમે આખો દિવસ બંધ રહેવાની જાહેરાત કરી હતી. ફ્રાન્સના ગૃહમંત્રી લોરેન્ટ નુન્સે આ ઘટનાને સૌથી મોટી લૂંટ પૈકીની એક ગણાવી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તપાસ શરૂ થઈ ગઈ છે અને ચોરાયેલી વસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.