દ્વારકાધીશ જગતમંદિરમાં આ વર્ષે રૂપ ચતુર્દશી અને દિપાવલીના પાવન પર્વ નિમિત્તે દિવ્ય અને અલૌકિક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ઠાકોરજીના હાટડી દર્શન અને દિપમાલા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ હજારો ભક્તોએ લીધો હતો.
દિપાવલી પર્વની સંધ્યાએ ઠાકોરજીનો શણગાર અદ્ભુત હતો. તેમને સોનેરી રંગના વિશેષ વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. સાથે જ, સંપૂર્ણ સોના-ચાંદી અને હિરાજડિત આભૂષણોથી તેમનો શણગાર કરવામાં આવ્યો હતો અને શ્રીમસ્તક પર સુવર્ણજડિત મુગટ શોભી રહ્યો હતો. આ અલૌકિક શૃંગારના દર્શન કરીને ભક્તો ભાવવિભોર થયા હતા.