વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમેરિકન સરકારે ભારતને ઈરાનના ચાબહાર બંદર પરના પ્રતિબંધોમાંથી 6 મહિનાની મુક્તિ આપી છે.
અગાઉ, અમેરિકાએ કહ્યું હતું કે તે 29 સપ્ટેમ્બરથી બંદર પર સંચાલન, ભંડોળ પૂરું પાડવા અથવા અન્યથા કામ કરતી કંપનીઓ પર દંડ લાદશે. જોકે, આ મુક્તિ પાછળથી 27 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી, જે ત્રણ દિવસ પહેલા જ પુર્ણ થઈ ગઈ હતી. હવે, તેને 6 મહિના માટે લંબાવવામાં આવી છે.
ભારતે 2024માં ચાબહારને 10 વર્ષના લીઝ પર લીધુ હતું. આ કરાર હેઠળ, ભારત 120 મિલિયન ડોલરનું રોકાણ કરશે અને 250 મિલિયન ડોલરની ક્રેડિટ લાઇન (સસ્તી લોન) આપશે.
ચાબહાર બંદર ભારતને અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, રશિયા અને યુરોપ સાથે સીધો વેપાર કરવામાં મદદ કરે છે.
ભારત ચાબહાર દ્વારા અફઘાનિસ્તાનમાં જરૂરી ચીજવસ્તુઓ મોકલે છે
પહેલાં, ભારતને અફઘાનિસ્તાનમાં માલ મોકલવા માટે પાકિસ્તાનમાંથી પસાર થવું પડતું હતું, પરંતુ સરહદી વિવાદોને કારણે આ મુશ્કેલ હતું. ચાબહારે આ માર્ગ સરળ બનાવ્યો છે. ભારત આ બંદર દ્વારા અફઘાનિસ્તાનમાં ઘઉં મોકલે છે અને મધ્ય એશિયામાંથી ગેસ અને તેલની આયાત કરી શકે છે.
2018માં, ભારત અને ઈરાને ચાબહાર વિકસાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા. અમેરિકાએ આ પ્રોજેક્ટ માટે ભારતને કેટલીક પ્રતિબંધોમાં રાહત આપી. આ બંદર પાકિસ્તાનના ગ્વાદર બંદર જેને ચીન દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, તેની સરખામણીમાં ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.