રાજ્યમા કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે ત્યારે સરકાર દ્વારા 10,000 કરોડનું ખાસ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેને વિપક્ષ દ્વારા 'લોપીપોપ' કહેવામાં આવી રહી છે. વિપક્ષ દ્વારા પણ ખેડૂતોને સહાય અને પાકધિરાણ માફ કરવાના મુદે આક્રમક વલણ દાખવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખરીફ સિઝનમાં લણણીના સમયે જ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમા નુકશાન થયું છે ખાસ કરીને મગફળી, સોયાબીન, કપાસ સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના તમામ પ્રશ્નો ધ્યાને લઈ તેમના હક્ક માટે “કિસાન આક્રોશ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનું આજે રાજકોટ ખાતે આગમન થતા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતુ. માધાપર ચોકથી લોકો બાઈક અને ટ્રેક્ટર લઇ રેલીમાં સાથે જોડાયા હતા અને ખેડૂત એકતા જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા.